અંતરજાળમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી ₹ 25 લાખની ચોરી

અંતરજાળમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી ₹ 25 લાખની ચોરી અંતરજાળમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી ₹ 25 લાખની ચોરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનના તાળાં તોડી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી રોકડ ₹ 25 લાખની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.

અંતરજાળની સુદામાપુરી સોસાયટીમાં મકાન નંબર 14માં ગઈ કાલે ધોળા દિવસે બપોરથી સાંજની વચ્ચે ચોરીનો આ બનાવ બન્યો હતો. મકાનમાં રહેનાર ફરિયાદી ગંગેશ્વર કરુણાશંકર પંડ્યા આદિપુર બારવાળીમાં પાતાળિયા પૂજા ભંડાર નામની પૂજાની સામગ્રીની દુકાન ચલાવે છે. ફરિયાદીએ અગાઉ કિડાણા સીમમાં આવેલી પોતાની જમીન વેચતા તેમને ₹ 40 લાખ મળ્યા હતા, જેમાંથી મોટા દીકરા સાગરના લગ્ન કરાવ્યા હતા અને બાકીના ₹ 25 લાખ ઘરમાં મૂકી દેવાયા હતા. ગઈ કાલે બપોરે તેમના પુત્રવધૂને પિયરમાં જવાનું હોવાથી ફરિયાદી તથા તેમના પત્ની, પુત્રવધૂ અને નાનો પુત્ર વિવેક આદિપુર બસ સ્ટેન્ડે આવ્યા હતા, જ્યાંથી ફરિયાદીના પત્ની અને પુત્રવધૂ બસમાં બેસીને માધાપર ગયા હતા. જ્યારે ફરિયાદી અને તેમનો નાનો પુત્ર ઘરે ગયા હતા. બાદમાં વિવેક દુકાને ગયો હતો. પાછળથી ફરિયાદી ઘરને તાળાં મારી દુકાને ગયા હતા. માધાપરથી તેમના પત્ની સાંજે પરત આવતા ગંગેશ્વર પંડ્યા તેમને લેવા બસ સ્ટેન્ડે ગયા હતા અને ત્યાંથી બંને પોતાના ઘરે ગયા હતા, જ્યાં ઘરનું તાળું ખુલ્લું અને દરવાજો ખુલ્લો જણાયો હતો. અંદર તમામ સરસામાન બરાબર હતો, પરંતુ પેટીપલંગમાં રાખેલી બ્લૂ રંગની થેલી, જેમાં રોકડ ₹ 25 લાખ હતા તે ગુમ જણાઈ હતી. લાખોની ચોરી થતાં તેમને ભારે આઘાત લાગ્યો હતો. પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ 10-12 દિવસ પહેલાં તાળાંની અન્ય એક ચાવી ખોવાઈ ગઈ હતી, જેને શોધવા છતાં મળી નહોતી. દરમિયાન ગઈકાલે બપોરે ધોળા દિવસે કોઈ જાણભેદુએ ચાવી વડે તાળું ખોલી ₹ 25 લાખની ચોરી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *