ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર અને કંડલા વિસ્તારમાં ગુરુવારે એક જ દિવસે ત્રણ અલગ-અલગ અકસ્માતોની ઘટનામાં બે લોકોને જાન ગુમાવવો પડ્યો હતો, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્રણેય અકસ્માતની જાણ થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રીટાબેનના મોતથી પરિવારમાં શોકનું મોજું
આદિપુર પોલીસ મથકે ખાનગી હોસ્પિટલ દ્વારા મળેલી જાણ પ્રમાણે 19 જૂનના રોજ બપોરે રવેચીધામ શિણાય પાસે રીટાબેન દિપકભાઈ કેલા (ઉ.વ. 50) તેમના પતિ સાથે ત્રણચક્રી વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. રમાડાથી શિણાય જતા માર્ગ પર પાછળથી ટ્રેક્ટરે અડફેટે લેતાં રીટાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
પગપાળા જતા પ્રૌઢને અજાણ્યા વાહન હડફેટી ગયો
તે જ દિવસે બનેલી બીજી ઘટનામાં રાજા ઠાકુરસિંહ નટીયાવન (ઉ.વ. 40) માથકથી ગાંધીધામ તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓ સાથે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું અવસાન થયું. આ મામલાની તપાસ આદિપુર પોલીસ મથકના પીએસઆઈને સોંપવામાં આવી છે.
ડમ્પર-કાર ટક્કરથી કારચાલકને ફ્રેક્ચર ઇજાઓ
કંડલા મરીન પોલીસ મથકે નોંધાયેલા ત્રીજા અકસ્માતમાં ફરિયાદી અનિલભાઈ કિશનચંદ મેઘાણીએ જણાવ્યું હતું કે 19 જૂનના રાત્રે 2:45 વાગ્યે કંડલાના સિદ્ધીવિનાયક વે બ્રિજ નજીક બેફામ ઝડપે આવતાં ડમ્પરે તેમની કાર સાથે ટક્કર મારી હતી. ઘટનામાં તેમના હાથ અને છાતી પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચ્યા છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નિષ્ણાતોની ચેતવણી: ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી
એકજ દિવસમાં ત્રણ ગંભીર અકસ્માત બનતા પરિવારોમાં શોકનું વાતાવરણ છવાયું છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. પોલીસે તમામ કેસોની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.