ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ આદિપુર અને મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારને જોડતું લીલાશાહ ફાટક વર્ષોથી લોકો માટે સરદર્દ સમાન બની રહ્યું છે ત્યારે લોકોનો આ માટે ગુસ્સો વિવિધ સ્વરુપે વારંવાર જોવા મળે છે. આવોજ એક કિસ્સો ગત રાત્રે જોવા મળ્યો જ્યારે માલગાડી પસાર થતા ફાટક બંધ રાખવાની ફરજ પડતા ત્રણ શખ્સોએ આ કામ કરી રહેલા રેલવે કર્મચારીને જઈને લમધારી નાખ્યો હતો. રેલવે પોલીસે ત્રણેય વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે.
ગાંધીધામ રેલવે પોલીસ મથકે પોઇન્સમેન તરીકે કામ કરતા સુરજકુમાર જીવણકુમાર કુશ્વાહએ ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું કે ગત રાત્રીથી સવાર સુધી તેમની ડ્યુટી એલસી 5 એટલે કે લીલાશાહ ફાટક પર લાગેલી હતી. ત્યારે રાત્રીના આદિપુર રેલવે સ્ટેશન અધિક્ષક મહેંદ્ર મોર્યએ ફોન કરીને જણાવેલું માલગાડી 21:45 થી 21:50 વાગ્યા દરમ્યાન પસાર થનારી હોઇ ફાટક બંધ કરવું. જેથી તે સમય ગાળામાં બંધ કરીને ફાટક ખોલતા ત્યારે એક અજાણ્યો શખ્સ (ઉ.વ.25 થી 30) એ તેમની પાસે આવીને ફાટક ખોલી દેવાનું કહીને ધાકધમકી કરવા લાગેલો, અને કહ્યું કે ઉભ હું હમણા આવ્યું છે.
થોડી વાર બાદ તે ઓફિસે બેઠા હતા ત્યારે ત્રણ શખ્સ આવ્યા અને લાકડા દંડા લઈને ધક્કામુકી કરી મુઢ માર મારવા લાગ્યા, દરમ્યાન બુમાબુમ કરતા આસપાસના રાહદારીઓએ ઉભા રહીને ઓફિસ તરફ આવતા ત્રણેય અજાણ્યા ઈસમો સ્થળ પરથી ચાલ્યા ગયા. ફરિયાદીને ઈજા પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા અને સારવાર હાલમાં ચાલુ છે. જેથી, આ ત્રણેય આરોપીઓએ કાયદેસરની ફરજ અટકાવી, સામાન્ય ઈરાદાને આગળ વધારવા ફરજમાં રૂકાવટ કરીને મારામારી કરી નાશી ગયા હતા, તે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.