ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કચ્છ જિલ્લામાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ધો.૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા ૩૭ કેન્દ્ર ઉપર લેવામાં આવશે. ૧૦પ બિલ્ડીંગમાં ૯૩૭ બ્લોકમાં કુલ ર૬,૦૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહની ૧૩ કેન્દ્રમાં ૪૮ બિલ્ડીંગમાં ૪૪૦ બ્લોકમાં ૧૩,૪૬૦ વિદ્યાર્થીઓ અને સાયન્સ પ્રવાહમાં ૪ કેન્દ્રમાં ૮ બિલ્ડીંગમાં ૭ર બ્લોકમાં ૧૪૦ર મળીને કુલ ૪૦,૯૨૫ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
વિવિધ કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓના નંબરો પણ લખી નાખવામાં આવ્યા છે તો છાત્રોએ પણ જે તે પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને પોતાની બેઠક વ્યવસ્થા નિહાળવાનું ચુક્યા ન હતા.

આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યુ હતુ કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની બોર્ડની આવતીકાલે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણાધિકારીની કચેરીની સાથે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ધો.૧૦ની પરીક્ષા નખત્રાણા, ભુજ અને ગાંધીધામ એમ ત્રણ ઝોનમાં લેવાશે. જ્યારે ધો.૧રની પરીક્ષા ભુજ અને ગાંધીધામ બે ઝોનમાં લેવામાં આવશે. પાંચેય ઝોનમાં મળીને પ૪ કેન્દ્ર ઉપર ૧૬૧ બિલ્ડીંગમાં ૧૪૪૯ બ્લોકમાં કુલ ૪૦,૯રપ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સજ્જ બન્યા છે.
વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.
જિલ્લામાં ઉપરોક્ત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે પુરતા કારણો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.27/02ના સવારના કલાક. 6 થી તા.17/03 રાતના કલાક 8 સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એક્ઠા થવું નહી, સરઘસો કાઢવા નહી તેમજ સુત્રો પોકારવા નહી. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહી કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહી અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા(રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે.
પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકઓ, બિલ્ડીંગના કન્ડક્ટર, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહી. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં કોઈ પણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનીક સાધનો લઈ જવા નહી તથા મ્યુઝિક, સંગીત ઇત્યાદી જોરથી વગાડવુ નહી.