ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં સતત વધતી ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગાંધીધામના ગળપાદર-મુંદ્રા હાઈવે નજીક આવેલા એઆરસી ઢાબામાં ગઇકાલે વહેલી પરોઢે 4 વાગ્યે આગ ભભૂકી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ વારમાં આખું ઢાબું તેની ઝપેટમાં આવી ગયું હતું.
આ ઘટનાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતા મહાનગરપાલિકાના અગ્નિશમન દળે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી. લગભગ બે કલાકના પ્રયાસ બાદ આગને પૂર્ણ રીતે કાબૂમાં લાવવામાં આવી.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થયી. જોકે ઢાબાનું મોટું નુકસાન થયું છે અને બધીજ સામગ્રી ખાક થઇ ગઈ છે. અગ્નિશમન દળના યોદ્ધાઓ – રાજ માંતગ, ધીરજ કન્નર અને પ્રકાશ ઠાકોરે હિમ્મતપૂર્વક ભયજનક પરિસ્થિતિને સંભાળી, ઢાબામાં રહેલા ચાર ભરેલા ગેસ સીલીન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને મોટી દુર્ઘટના ટાળી હતી.
અલગ ઘટનામાં, વોર્ડ 10Bસીના પ્લોટ નં. 148માં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સ્થાનિક રહેવાસીઓએ તરત જ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી.