ગાંધીધામ ટુડે, ન્યૂઝઃ ગાંધીધામના આંબેડકર ભવન ખાતે ચાલતા ચાર દિવસીય “વૃંદાવન રાસ મહોત્સવ”ના બીજા દિવસે ભક્તિમય વાતાવરણ વચ્ચે “વૃંદાવન પ્યારો વૃંદાવન” ભજનનું ભવ્ય પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પદ વૃંદાવનના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાયે બે વર્ષ અગાઉ ગાંધીધામમાં કથા દરમિયાન રચ્યું હતું અને હવે ફરી ત્યાં જ પ્રસારિત થયું છે. આ ગીતનું સંગીત બી. પ્રાગ દ્વારા સંયોજિત કરવામાં આવ્યું છે.
મહોત્સવના દિવસે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભાગવતાચાર્ય ઈન્દ્રેશજી ઉપાધ્યાયે વ્યાસપીઠેથી વૃંદાવનના ૭ ઐતિહાસિક મંદિરોના મહિમાનું વર્ણન કરતા પદનું ગીતરૂપે ગાન કર્યું હતું. પ્રસારણ સમયે સમગ્ર પરિસર ભક્તિમય ઉત્સાહથી ગૂંજાઈ ઉઠ્યો હતો.

આ અવસરે કિરણભાઈ આહીર, પ્રેમભાઈ આહીર, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, ભારાપર જાગીરના મહંત ભારતદાદા, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી અને નારાયણ સરોવર જાગીરના મહંત સોનલલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.


ભાગવતાચાર્યે જણાવ્યું હતું કે, ગાંધીધામની ભૂમિ ભક્તિ માટે પાવન છે અને અહીંની જનતા ખૂબ જ સરળ અને ભક્તિસીલ છે. તેમણે જણાવ્યું કે આગામી ૧૧ જૂનથી ફરી એક વખત ગાંધીધામમાં રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
