ગાંધીધામ ટૂડે, ન્યૂઝ : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અરિહંત નગર સોસાયટીમાં આવેલ પબ્લિક સ્કૂલ પર સરકારી મંજૂર નકશામાં દર્શાવાયેલ સાર્વજનિક પ્લોટ પર અનધિકૃત બાંધકામ કરવાની આરોપ સાથે વિવાદ ઊભો થયો છે.

કપ્ટા રમેશચંદ્ર ગોરધનદાસ દ્વારા તેમના વકીલ મારફતે સ્કૂલ ટ્રસ્ટીઓ સામે નોટીસ મોકલીને આરોપ લગાવ્યો છે કે સ્કૂલના ટ્રસ્ટીઓએ અરિહંત નગરના પ્લોટ નં. ૨૫ની બાજુમાં આવેલા સાર્વજનિક પ્લોટ પર બાંધકામ કરીને તેનો ઉપયોગ શાળાના હિતમાં કર્યો છે, જે કેવળ રહેવાસીઓના ઉપયોગ માટે જાહેર હિતમાં જાહેર કરાયેલો પ્લોટ છે.
નોટીસમાં વધુમાં જણાવાયું છે કે સ્કૂલ દ્વારા કેટલાક શિક્ષકોની ભરતીમાં પણ યોગ્ય શૈક્ષણિક લાયકાતનો અભાવ જણાઈ આવ્યો છે. ચાર શિક્ષકો B.Ed. ની લાયકાત વિના નિયુક્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી જાહેર કરાઈ છે.

આ પહેલા પણ સ્કૂલના બાંધકામને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી અને સોસાયટીના હોદેદારોએ સમર્થનરૂપ લેટર આપ્યું હતું, પરંતુ નોટીસપ્રમાણે તે પત્ર ખોટી માહિતી આધારિત હોવાનું જણાવાયું છે.
વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સ્કૂલ ટ્રસ્ટીઓ તરફથી ૭ દિવસની અંદર અનધિકૃત બાંધકામ દૂર કરી સાર્વજનિક પ્લોટ ખાલી ન કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.