ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મત વિસ્તારના વિવિધ માર્ગોની કાયાપલટ થશે. સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની રજૂઆતને પગલે રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગને આ વિસ્તારના રસ્તાઓના રિસરફેસિંગ અને સુધારણા માટે રૂપિયા ૧૦ કરોડ ૬૦ લાખની મંજૂરી આપી છે.
મંજૂર થયેલા ભંડોળથી ભચાઉ તાલુકાના વિજપાસર ગામના આંતરિક રસ્તાઓનું રિસરફેસિંગ અને સી.સી.રોડની કામગીરી માટે ૧૦૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રામેશ્વર-સુખપર રોડને ૩.૭૫ મીટરથી વધારીને ૫.૫૦ મીટર પહોળો કરવા માટે ૮૦ લાખ રૂપિયા મંજૂર કરાયા છે. કરમરિયાથી માય રોડની ખૂટતી લંબાઈના માટીકામ, મેટલ કામ, નાળા કામ, સી.સી.રોડ અને ડામર કામ માટે સૌથી વધુ ૨૮૦ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોરગર ગામના આંતરિક રસ્તાઓ અને સી.સી.રોડ માટે ૧૦૦ લાખ રૂપિયા, જ્યારે આમરડીથી કબરાઉ રોડના વિવિધ કામો માટે ૮૦ લાખ રૂપિયા મંજૂર કરાયા છે.
ગાંધીધામ શહેરમાં જવાહરનગર અંકુર વે-બ્રિજથી મહાદેવ મંદિર સુધીના રસ્તાના વિવિધ કામો માટે ૧૭૦ લાખ રૂપિયા, જવાહરનગર કેશરી વે-બ્રિજથી ચુડવા સીમાડા રોડ માટે ૮૦ લાખ રૂપિયા અને મીઠીરોહર-ચુડવા વાડી વિસ્તારના કામ માટે ૧૭૦ લાખ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. આ ભંડોળથી વિસ્તારના રસ્તાઓની હાલત સુધરશે અને લોકોને રાહત મળશે.