ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આગામી 7મી જૂને ઉજવાવાનાં બકરી ઈદ તહેવારના પરિપ્રેક્ષ્યમાં કોમી એકતા જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાપર તથા આડેસર પોલીસ મથક પર શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.
આ બેઠક બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારના સૂચન મુજબ આયોજિત કરવામાં આવી હતી.
રાપર પોલીસ મથકની બેઠક PI જે.બી. બુબડિયા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં હિન્દુ તથા મુસ્લિમ બંને સમુદાયોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન ભાઈચારા જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની અશાંતિ ન સર્જાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં બાબુભાઈ કારોત્રા, કમલેશ ચાવડા, મહેશ પટેલ, હાજીભાઈ ખાસકેલી, અનવરશા બાપુ સૈયદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આડેસર પોલીસ મથક પર PI જે.એમ. વાળાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પણ શાંતિ અને સૌહાર્દ માટેની માર્ગદર્શિકા આપવામાં આવી. આ બેઠકમાં ટગા, વિજાપુર અને આડેસર ગામના મુસ્લિમ આગેવાનો સાથે માજી સરપંચ ભગાભાઈ આહીર, મોતીભાઈ ભરવાડ, મુસાભાઈ હિંગોરજા, આદમભાઈ હિંગોરજા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બંને બેઠકોમાં તહેવારને શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા પોલીસ વિભાગે સમસ્ત સમાજના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.