RBIએ રેપો રેટમાં 0.50%નો ઘટાડો કર્યો: લોન સસ્તી બનશે, EMI પણ ઘટશે

RBIએ રેપો રેટમાં 0.50%નો ઘટાડો કર્યો: લોન સસ્તી બનશે, EMI પણ ઘટશે RBIએ રેપો રેટમાં 0.50%નો ઘટાડો કર્યો: લોન સસ્તી બનશે, EMI પણ ઘટશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય નીતિ સમિતિની તાજેતરનાં નિર્ણયો હેઠળ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરીને તે 6%માંથી 5.50% પર લાવ્યું છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ માહિતી 6 જૂન, સવારે 10 વાગ્યે આપતા જણાવ્યું કે આ નિર્ણય 4 જૂનથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ લેવામાં આવ્યો છે.

આર્થિક વર્ષ 2025-26 દરમિયાન આ ત્રીજું કપાત છે. ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં 0.25% અને એપ્રિલમાં પણ એટલોજ ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1%નો ઘટાડો નોંધાયો છે, જે આશરે પાંચ વર્ષ બાદ આવી સતત નરમ નીતિનો ભાગ છે.

શું બદલાશે તમારા માટે?

રેપો રેટ ઘટતાં બેંકો હાઉસિંગ, ઓટો અને પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જેના પગલે લોન સસ્તી બનશે અને ગ્રાહકોના EMI પણ ઘટી શકે છે. આથી રિયલ એસ્ટેટમાં રોકાણમાં પણ વધારો થવાની શક્યતા છે.

રેપો રેટ શું છે અને તે કેવી રીતે અસર કરે છે?

રેપો રેટ એ વ્યાજદર છે, જેના પર RBI અન્ય બેંકોને લોન આપે છે. જ્યારે આ રેટ ઘટે છે, ત્યારે બેંકોને પણ સસ્તી લોન મળે છે, જેને તેઓ આગળ ગ્રાહકો સુધી ઓછા વ્યાજદરે પહોંચાડે છે.

રેપો રેટમાં ઘટાડાનું કારણ શું છે?

કેન્દ્રીય બેંક આ પગલું અર્થતંત્રને ટેકો આપવા માટે ભરેલી છે. જ્યારે ફુગાવો વધે છે ત્યારે RBI રેટ વધારીને નાણાં પ્રવાહ ઘટાડે છે. પણ જ્યારે અર્થતંત્ર ધીમું પડે છે, ત્યારે વૃદ્ધિને ઉત્તેજન આપવા રેટમાં ઘટાડો કરીને લોકો અને ઉદ્યોગોને વધુ સસ્તી લોન ઉપલબ્ધ કરાવે છે.

મોનીટરી પોલિસી કમિટી વિશે શું જાણવું?

મોનીટરી પોલિસી કમિટીમાં 6 સભ્ય હોય છે – જેમાંથી 3 RBIના અને 3 કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત. સામાન્ય રીતે આ કમિટીની બેઠક દર બે મહિને યોજાય છે. 2025-26 માટે RBIએ કુલ 6 બેઠકનું સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં પ્રથમ બેઠક 7-9 એપ્રિલે અને બીજી હાલમાં 4-6 જૂન દરમિયાન યોજાઈ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *