ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશમાં કોરોના વાયરસના કેસોમાં ફરી વધારો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને 4 લોકોના મૃત્યુ થયા છે. આમ, દેશભરના એક્ટિવ કેસની સંખ્યા વધીને 5,755 સુધી પહોંચી ગઈ છે.
નિષ્ણાતોએ લોકોને સતર્ક રહેવા માટે ચેતવણી આપી છે. ખાસ કરીને માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને નિયમિત સેનિટાઈઝેશન કરવું જેવી સાદી પરંતુ મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવાની ભલામણ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ નવા કેસ
This Article Includes
- મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 114 નવા કેસ નોંધાયા છે. હવે સુધી આ વર્ષે રાજ્યમાં કુલ 1,276 કેસ નોંધાયા છે. એક વધુ દર્દીનું મૃત્યુ થવાથી કુલ મૃત્યુઆંક 18 થયો છે.
- કેરળ: 192 નવા કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં 170 નવા કેસ, હોસ્પિટલાઈઝેશન ઓછું
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં 717 એક્ટિવ કેસ છે, જેમાંથી માત્ર 23 દર્દીઓ હોસ્પિટલમાં છે અને 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં 68 દર્દીઓ સાજા થયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી.
કેન્દ્ર સરકારનો મોટો પગલોઃ મોક ડ્રિલના આદેશ
કેસોમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આરોગ્ય વ્યવસ્થાની તૈયારી ચકાસવા માટે મોક ડ્રિલ યોજવા માટે સૂચના આપી છે. રાજ્યોને ઓક્સિજન, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ જેવી સુવિધાઓની ઉપલબ્ધતા તપાસવા માટે પણ જણાવ્યું છે.
અત્યાર સુધી ૫૫ મોત, મોટા ભાગના કેસ હળવા લક્ષણ સાથે
જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં દેશમાં કુલ 55 મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલના મોટા ભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને દર્દીઓને ઘરે જ રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 22 મેના રોજ માત્ર 257 સક્રિય કેસ હતા, ત્યારપછી કેસોમાં આકસ્મિક વધારો નોંધાયો છે.