ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સ્થિત નુરી મસ્જીદ ખાતે ઈદ-ઉલ-અઝહાની નમાઝ મૌલાના અબ્દુલ શકુર સાહેબે અદા કરાવી હતી. આ પ્રસંગે દેશે પ્રગતિ કરે, ભાઈચારો જળવાઈ રહે, દેશ સુરક્ષિત રહે અને વિશ્વમાં નામના મેળવે તેવી દુઆ કરવામાં આવી હતી. સાથે જ દેશ પર કોઈ આફત ન આવે તેવી પરવરદિગાર પાસે દુઆ કરાઈ હતી. મૌલાના સાહેબે નમાઝમાં સંદેશ આપ્યો હતો કે આ પવિત્ર ઈદ-ઉલ-અઝહાના દિવસે ગરીબ, અનાથ અને વિધવાઓની મદદ કરવી જોઈએ.

તેમણે સમસ્ત માનવજાત માટે શાંતિ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની દુઆ કરી હતી. ઇસ્લામ પ્રેમ અને ભાઈચારા સાથે જીવવા, એકબીજાને મદદ કરવા, વડીલોને માન આપવા અને નાના પ્રત્યે સ્નેહ રાખવાનો સંદેશ આપે છે તેમ જણાવ્યું હતું. આ અવસરે ટ્રસ્ટીઓ અને આગેવાનો જેવા કે શકુરભાઈ માંજોઠી, અબ્દુલભાઈ પઠાન, ગનીભાઈ માંજોઠી, હાજી અલી સોઢા, ફિરોઝખાન પઠાન, ઇસલામુદીન, સાલેમામદ માંજોઠી, શનાઉલલાહ, બારાભાઈ તથા મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જાળવવા બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.