ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા એક લાકડાના બેન્સામાં મોટર બંધ કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી શ્રમિકની હત્યામાં પરિણમી હતી. આ ઘટનામાં મૂળ બિહારના સંજયકુમાર રતનલાલ ચૌધરી નામના શ્રમિકનું મૃત્યુ થયું છે, જ્યારે ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા નામનો શ્રમિક આરોપી છે.
ગત 2 જૂનના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં શ્રમિકોના રહેઠાણ પાસેની પાણીની ટાંકી ઓવરફ્લો થતી હતી. ત્યારે ગુરુદેવકુમાર શર્માએ સંજયકુમાર ચૌધરીને મોટર બંધ કરવાનું કહ્યું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને પછી તે મારામારીમાં પરિવર્તિત થઈ. બંનેએ લાકડાની પટ્ટીઓ વડે એકબીજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન સંજયકુમાર અચાનક પડી ગયો અને તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
ગંભીર રીતે ઘાયલ થયેલા સંજયકુમારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરોએ તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની સલાહ આપી હતી. જોકે, અમદાવાદમાં સારવાર દરમિયાન 4 જૂનની રાત્રે સંજયકુમાર રતનલાલ ચૌધરીનું મૃત્યુ થયું. આ ઘટના બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.