ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા અને આંતરિક વિસ્તારોની સફાઈ કરી કચરાના ઢગ ઉપાડવાના કામ માટે કોઈ એજન્સી તૈયાર ન થતાં વહીવટી તંત્ર દ્વારા રિ-ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉના ટેન્ડરમાં પૂરતો પ્રતિસાદ ન મળતાં, શહેરની સ્વચ્છતા અને જાહેર સલામતીની સમસ્યા વધુ ગંભીર બની છે.
ગાંધીધામ-આદિપુરના જોડિયા શહેરોમાં આંતરિક વિસ્તારોમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર સ્થળોએ કચરાના ઢગલા થવાને કારણે સ્થિતિ બદતર બની છે. અગાઉ આ કામગીરીનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે, આંતરિક વિસ્તારોની સફાઈ અને કચરાના નિકાલ માટે માત્ર એક જ ટેન્ડર આવતાં કામગીરી સોંપી શકાઈ નહોતી. આથી, હવે આ બંને કામગીરી માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રખડતા ઢોરનો ત્રાસ યથાવત
બીજી તરફ, મહાનગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડી પાંજરાપોળ કે ઢોરવાડામાં મૂકવાની કામગીરી માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં એક પણ ટેન્ડર ન મળતાં રિ-ટેન્ડર કરવાની ફરજ પડી છે.
ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓના કારણે સર્જાતી સમસ્યા વિકટ બની છે. નંદીઓની લડાઈમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે, અને કેટલાક કિસ્સાઓમાં તો લોકોને આજીવન ખોડખાપણ રહે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે.
લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા
લાંબા સમયથી જોડિયા શહેરોના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. નગરપાલિકા હતી તે સમયે પણ અનેક વખત સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. મહાનગરપાલિકા બન્યા પછી પણ અધિકારીઓ સમક્ષ આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે. હવે તંત્ર ઝડપથી આ ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે.