ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 2003માં ભચાઉ નજીક બનેલા બે પોલીસ કર્મચારીઓની હત્યાના ચકચારભર્યા કેસમાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપી રવિન્દ્રસિંગ પ્રાણસિંગ ઉર્ફે પ્રતાપસિંગ ગોહિલ (રહે. બાડમેર, રાજસ્થાન) ને કચ્છ એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ આપેલી માહિતી અનુસાર, આ ઘટના 15 ડિસેમ્બર, 2003 ના રોજ બની હતી. દારૂની હેરાફેરી અંગેની બાતમીના આધારે નશાબંધી સ્ટ્રાઈકિંગ અને ભચાઉ પોલીસ મથકની ટીમે લોધેશ્વરથી ખારોઈ જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન, બાતમી મુજબના વાહનોને રોકવાનો ઈશારો કરવા છતાં, વાહનચાલકોએ પોલીસકર્મીઓને મારી નાખવાના ઈરાદે તેમના પર વાહન ચડાવી દીધું હતું અને ફરાર થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.
આ ઘટના અંગે 16 ડિસેમ્બર, 2003 ના રોજ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, રવિન્દ્રસિંગ પ્રાણસિંગ ઉર્ફે પ્રતાપસિંગ ગોહિલ 22 વર્ષથી ફરાર હતો. એલસીબીને મળેલી ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનમાં એક ટીમ મોકલવામાં આવી હતી અને તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ ધરપકડથી લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી જોડાઈ છે.