ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ અને સૌરાષ્ટ્રને રેલ માર્ગે જોડવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ તરીકે પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી રાજકોટ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા 21 માર્ચ 2025થી શરૂ કરવામાં આવી છે. આ સેવા 30 જૂન 2025 સુધી વિશેષ સ્પેશ્યલ ટ્રેન તરીકે ચાલી રહી છે. જો પ્રવાસીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો રહેશે, તો આ ટ્રેન સેવા કાયમી ધોરણે ચાલુ રાખવાની શક્યતા ઊભી થઈ છે.
મુસાફરોનો પ્રતિસાદ હકારાત્મક
This Article Includes
21 માર્ચથી 15 જૂન સુધીના આંકડાઓ મુજબ કુલ 87 દિવસોમાં 84 ટ્રીપમાં દૈનિક સરેરાશ 50% મુસાફરોની હાજરી નોંધાઈ છે. ભુજથી રાજકોટ દિશામાં રોજ અંદાજે 300 મુસાફરો અને પાછી દિશામાં 200થી વધુ મુસાફરો સફર કરે છે. ટ્રેનની કુલ બેઠક ક્ષમતા 560 છે. અત્યારસુધીમાં 5056 મુસાફરો એડવાન્સ બુકિંગથી મુસાફરી કરી ચુક્યા છે, જયારે અન્ય મુસાફરો અનરિઝર્વ ટિકિટથી પ્રવાસ કરી રહ્યાં છે.
ટ્રેનનો સમય અને ભાડાં
- ભુજથી રવાના: સવારે 6:50 કલાકે
- રાજકોટ પહોંચે: બપોરે 1:15 કલાકે
- રાજકોટથી રવાના: બપોરે 2:30 કલાકે
- ભુજ પહોંચે: રાતે 8:55 કલાકે
- સફર સમય: 6 કલાક 25 મિનિટ
ભાડાં:
- અનરિઝર્વ કોચ: ₹100
- સેકન્ડ સીટિંગ રિઝર્વેશન: ₹125
- એસી ચેર કાર: ₹535
(તુલનાત્મક રીતે, બસ ભાડું ₹200 અને વોલ્વો ₹600 થી વધુ છે)
આ ટ્રેન બંને દિશાઓમાં અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, માળિયા મિયાણી, દહીંસરા અને મોરબી જેવા સ્ટેશનો પર રોકાય છે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રને વધુ નજીક લાવે છે.
જ્યાં પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે સીધી રેલસેવા ન હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, ત્યાં હવે આ નવી સેવા દ્વારા બંને પ્રદેશો વચ્ચે વ્યાપાર, પ્રવાસ અને સંસ્કૃતિક જોડાણ મજબૂત બનશે.