ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના પૂર્વ-કચ્છ વિસ્તારમાં આવેલી કેટલીક વ્યાજબી ભાવની દુકાનો છેલ્લા ચારથી પાંચ દિવસથી બંધ રહેતા રેશનકાર્ડ ધારકો, ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ગાંધીધામ શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અશોક એમ. મહેશ્વરીએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
મહેશ્વરીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે બે માસનો પુરવઠો જાહેર કર્યો હોવા છતાં ગાંધીધામના કેટલાક વ્યાજબી ભાવના દુકાનદારો વારંવાર દુકાનો બંધ રાખી રહ્યા છે, જે સરકારી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે મોટા માથાઓની વ્યાજબી ભાવની દુકાનોમાં અનેક ભ્રષ્ટાચારો ઉજાગર થયા હોવા છતાં તેમની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ સ્થિતિને કારણે ગરીબ અને મધ્યમવર્ગના રાશનકાર્ડ ધારકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અશોક મહેશ્વરીએ મુખ્યમંત્રીને આ બાબતને ગંભીરતાથી લેવા અને વારંવાર બંધ રહેતી તથા અનિયમિત રીતે ખુલતી ગાંધીધામની વ્યાજબી ભાવની દુકાનો નિયમિત રીતે અને દરરોજ ખુલે તે માટે તેમના સ્તરેથી કાર્યવાહી કરવા નમ્ર અપીલ કરી છે.
બહુજન સમાજ પાર્ટીએ આશા વ્યક્ત કરી છે કે આ અરજીને પ્રથમ પ્રાથમિકતા આપીને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.