ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશને આજે આઠમો દિવસ થયો છે. અત્યારસુધીમાં DNA ટેસ્ટ દ્વારા 217 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. આ ઉપરાંત 8 મૃતકોના DNA ટેસ્ટની જરૂર ન હતી અને 3 ઘાયલ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ 227 વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે.
પોલીસને દુર્ઘટનાસ્થળેથી કુલ 318 માનવ અંગો મળ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે સાથે કાટમાળમાંથી મળેલા લગભગ 100 મોબાઈલ ફોન પણ FSLમાં મોકલાયા છે, જેથી દુર્ઘટનાના અંતિમ પળોનું કોઈ વિડિઓ રેકોર્ડ થયું છે કે નહીં, તે તપાસી શકાય.
વિમાનના ભાગોના રિકન્સ્ટ્રક્શનનો નિર્ણય
This Article Includes
ક્રેશ થયેલા વિમાનના જે પાર્ટ્સ મળી રહ્યા છે, તેને એકત્ર કરીને વિમાન રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
મૃતદેહો સોંપવાની પ્રક્રિયા યથાવત્ – હજુ 15 લાશોની ઓળખ બાકી
પ્લેન ક્રેશના આઠમા દિવસે મૃતદેહો સોંપવાની કામગીરી યથાવત્ છે. ADGP રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, 19 જૂન રાત્રે 8:30 વાગ્યા સુધી 217 DNA સેમ્પલ મેચ થયા છે. અત્યારસુધીમાં 199 મૃતદેહો પરિવારજનોને સોંપી દેવાયા છે અને બાકીના અંગે પ્રક્રિયા ચાલુ છે. હજુ 15 મૃતદેહોની ઓળખ માટે પરિવારો રાહ જોઈ રહ્યા છે.
ઘટનાના 2 મિનિટમાં પોલીસ કંટ્રોલને જાણ: કમિશનર
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, દુર્ઘટના 12 જૂનના રોજ બપોરે 1:40 વાગ્યે બની હતી. માત્ર 2 મિનિટમાં કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને 1:50 વાગ્યે તેઓ સ્વયં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાના તરત બાદ આર્મી, એરફોર્સ અને પેરામિલિટરી દળો પણ પહોંચી ગયા હતા.
36 કલાકમાં પ્રથમ DNA મેચ – 24 કલાકમાં લાશ પરત
પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમો ગોઠવી હતી. માત્ર 36 કલાકમાં પહેલું DNA ટેસ્ટ મળ્યું અને 24 કલાકમાં પરિવારજનોને મૃતદેહ સોંપી દેવાયો હતો.
બ્લેક બોક્સની તપાસ માટે કમિટી રચાઈ
દુર્ઘટનાની વિસ્તૃત તપાસ માટે એક વિશેષ કમિટી રચાઈ છે. જેમાં બ્લેક બોક્સ અને અન્ય ઉપલબ્ધ પુરાવાની તપાસ કરવામાં આવશે.
વિશ્વાસનો મોબાઈલ પરત: 100 મોબાઈલમાંથી મળશે શું પુરાવો?
100 જેટલા મોબાઈલ ફોન FSLમાં મોકલવામાં આવ્યા છે. તપાસદળ ચકાસશે કે દુર્ઘટના સમયે કોઈ મુસાફર દ્વારા અંતિમ ક્ષણો રેકોર્ડ કરવામાં આવી હતી કે નહીં. એકમાત્ર જીવિત બચેલા મુસાફર વિશ્વાસનું મોબાઈલ ચેક કર્યા બાદ તેને પરત કરવામાં આવ્યું છે.