ગાંધીધામ ટુડે ન્યુઝ: ભારે વધઘટ વચ્ચે કોરોનાના કેસોમાં હાલમાં ભારતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. 15 જૂનના રોજ જ્યારે દેશમાં કુલ 7,400 એક્ટિવ કેસ હતા, તે 21 જૂન (શનિવાર) સુધી ઘટીને માત્ર 5,012 રહી ગયા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,197 લોકો કોરોનામુક્ત થયા છે અથવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.
રાજસ્થાનમાં યુવાનનું કોરોનાથી મોત, મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યર સામે તબીબો લાચાર
ભલે રાષ્ટ્રીય સ્તરે રાહતના સમાચાર મળતા હોય, પરંતુ રાજસ્થાનમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે. ત્યાં 20 વર્ષીય યુવકનું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવકને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (MODS) અને શ્વસન તંત્રમાં ગંભીર તકલીફનો સામનો હતો. આ દરમિયાન તેને કોરોના પણ લાગ્યો હતો, જેના પરિણામે તેની સ્થિતિ વધુ જટિલ બની અને અંતે તેનું મૃત્યુ થયું.
નવા વેરિએન્ટ્સ સાથે કોરોના હજુ પણ સક્રિય – નિષ્ણાતો આપી રહ્યા છે ચેતવણી
ભારતમાં હાલ ચાર કોરોનાના વેરિએન્ટ્સ સક્રિય છે – જેમાં NB.1.8.1 (નિબંસ), XFG (સ્ટ્રાટસ), JN.1 અને LF.7 સામેલ છે. ભારતીય વાયરસવિજ્ઞાન સંસ્થા (NIV) પૂણેના નિર્દેશક ડૉ. નવીન કુમાર મુજબ, હાલમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ‘નિબંસ’ અને ‘સ્ટ્રાટસ’ વેરિએન્ટના છે. હજી સુધી આ વેરિએન્ટ્સ ગંભીર માનવામાં આવતા નથી, પરંતુ દરેક નવા મ્યુટેશન સાથે વાયરસની સંક્રમણ ક્ષમતા વધે છે.
નિષ્ણાતોનો ઈશારો – “હવે કોરોનાને જીવનનો ભાગ માનીને જીવવું પડશે”
તબીબી તજજ્ઞોનું માનવું છે કે કોરોનાને હવે સંપૂર્ણરૂપે ખતમ કરવો શક્ય નથી. તે આપણા આસપાસ સક્રિય રહે છે અને સમયાંતરે નવું સ્વરૂપ લઇ ફરી પ્રવર્તી શકે છે. તેથી જ સતત સતર્ક રહેવું અને જાતસાવચેતી જાળવવી ખૂબ જરૂરી છે – ખાસ કરીને વધુ સંવેદનશીલ લોકો માટે.