ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત હાઈકોર્ટમાં તપાસ એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશી નાગરિકોના ખોટા આધારકાર્ડ સંબંધિત માહિતી મેળવવા અરજી કરવામાં આવી હતી. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આ આરોપીઓની સંપૂર્ણ આધાર વિગતો તપાસ એજન્સીઓને આપવામાં આવે તેવા આદેશ મળ્યા છે.
જખૌ કેસ (2022): પાસપોર્ટ વિના ઘૂસણખોરી અને ખોટાં દસ્તાવેજો
This Article Includes
BSFએ વર્ષ 2022માં કચ્છ જિલ્લાના જખૌ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિક અખ્તર અબ્દુલ હુસૈન સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ વિઝા અથવા પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ મેળવી ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધાં હતાં. તેથી વધુમાં વધુ તપાસ જરૂરી બની હતી.
BSFને વેરાથિયર ટાપુ નજીક શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. તપાસ દરમિયાન આરોપી પાણીમાં તરતો મળ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ તથા સીમકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીએ તેના નામે ભારતીય બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતું.
વડોદરા કેસ (2018): નકલી ચલણથી છેતરપિંડી
વર્ષ 2018માં વડોદરાના J.P. રોડ પોલીસ મથકે અન્ય એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પાંચ બાંગ્લાદેશી આરોપીઓએ ફરીયાદીને સાઉદી રિયાલના ચલણના બંડલ આપવાની લાલચ આપીને રૂ. 15,000ની છેતરપિંડી કરી હતી. બંડલમાં માત્ર બે નોટ અસલી હતી જ્યારે બાકીના કોરા પેપર હતા. તપાસમાં આરોપીઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું અને તેઓએ પણ ખોટા દસ્તાવેજોથી ભારતીય આધારકાર્ડ મેળવ્યા હોવાનું ખુલ્યું.
હાઈકોર્ટનો નિર્ણય અને આધાર એક્ટનો મુદ્દો
આ મામલે તપાસકારોને આધારકાર્ડની માહિતી જરૂર હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. હાઈકોર્ટે નોંધ્યું કે આધાર એક્ટ, 2016 મુજબ વિગતો ગોપનીય હોય છતાં, રાષ્ટ્રીય સુરક્ષા અને તપાસના હિતમાં એવા મામલાઓમાં હાઈકોર્ટ પાસે વિગતો જાહેર કરવાનો અધિકાર હોય છે. ત્યારબાદ UIDAIને આવશ્યક માહિતી તપાસ એજન્સીઓને આપવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે.