ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા પોર્ટ પર મીઠાના એક્સપોર્ટ સંબંધિત એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘણા સમયથી લોકમુખે ચાલતી આ ચર્ચા હવે પોલીસ ચોપડે પહોંચી છે, અને પોલીસે તપાસ શરૂ કરતાની સાથે વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યકત થઈ રહી છે.
ગતરોજ કંડલા મરીન પોલીસ મથકે બાલાજી ઇન્ફ્રા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા મોહનરાઓ જોગલુ મેટટુરુએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી મીઠાની હેરાફેરી કરી છે.
આ આરોપીઓમાં અલી અકબર ઈસ્માઈલ લુહાર (ભારાપર), રાહુલ રામજી મ્યાત્રા (સંઘડ, અંજાર), સરસપર રોડવેઝ ટ્રાન્સપોર્ટના નરશીભાઈ (ગાંધીધામ), દિગુભા, શામજીભાઈ ભરતભાઈ રાઠોડ (સંઘડ, અંજાર), અને ટ્રક ચાલક પ્રકાશ ચૌધરી સહિત જી.કે. સોલ્ટ વેચાણથી જોડાયેલા વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ફરિયાદ અનુસાર, સત્યેશ પ્રા. લિ. કંપનીના મીઠાને રેન્કર્સ ઇન્ટરનેશનલ પ્રા. લિ. ખાતે પહોંચાડવાની જવાબદારી સરસપર ટ્રાન્સપોર્ટને આપવામાં આવી હતી. જોકે, તા. 19 જૂને મીઠાના બે ટ્રક (અનુક્રમે 49 ટન અને 40 ટન) કુલ 89 ટન મીઠું, જેની કિંમત અંદાજે ₹57,850 હતી, તે નિયત સ્થાન સુધી ન પહોંચાડી ધોખાધડી કરવામાં આવી.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તફતીશ શરૂ કરી છે. સુરક્ષિત વ્યવસાયિક વ્યવહાર માટે આવાં કૌભાંડો ચિંતાનો વિષય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસના પગલે વધુ આરોપીઓ કે સંગઠિત નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે.