ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મિત્રએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને પાઈપ અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી અને તેના પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી, અને ઘરવખરીને પણ નુકસાન થયું હતું.
પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરિયાદી જયંતીભાઈ આસમલભાઈ સીજુ (ઉંમર ૨૭, ધંધો-મજૂરીકામ, રહે. મહેશ્વરીનગર, ગાંધીધામ)એ ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં તેમના ઘર પાસે તેમના મિત્ર રાહુલ પચાણભાઈ રામરખીયા (મહેશ્વરી)ને ગાળો બોલતા સાંભળ્યા હતા. જયંતીભાઈએ રાહુલને ગાળો બોલવાની ના પાડતા રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવાની ધમકી આપી હતી.
થોડીવાર બાદ, રાહુલ પોતાના હાથમાં પાઈપ લઈને, તેનો ભાઈ બિસના છરી લઈને, અને હરેશ તથા વિશાલ ધોકા લઈને જયંતીભાઈના ઘરે ધસી આવ્યા હતા. રાહુલે જયંતીભાઈને ગાળાગાળી કરી અને માથામાં પાઈપ વડે માર માર્યો હતો. હરેશ અને વિશાલે ધોકા વડે જયંતીભાઈને પીઠ, પગ અને હાથમાં માર માર્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા.
આ દરમિયાન, જયંતીભાઈના માતા ભચીબેન, બહેન ખુશીબેન, દાદા કાનજીભાઈ અને જ્યોતિબેન વચ્ચે પડતા, ચારેય આરોપીઓએ તેમને પણ માર મારીને મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓ ઘરમાં ઘુસી ગયા હતા અને ટીવી, ફ્રિજ તેમજ અન્ય ઘરવખરીના સામાનને તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. જતા-જતા, આરોપીઓએ જયંતીભાઈને “રાહુલ ગમે ત્યાં ગાળો બોલે તેને રોકવો નહીં તો નહીં જીવતો નહીં જવા દઈએ” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હુમલા બાદ, જયંતીભાઈના મામા શિવજી ગોવિંદભાઈ મહેશ્વરી તેમને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં કાનજીભાઈ અને જ્યોતિબેનને સારવાર આપવામાં આવી હતી. જયંતીભાઈને માથામાં ઈજા થતા તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ૧૦ ટાંકા લેવામાં આવ્યા હતા. જયંતીભાઈ, ખુશાલીબેન અને ભચીબેનને પણ મૂઢ ઈજાઓ થઈ હતી અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩), ૩૨૯(૩), ૩૨૪(૬), ૫૪ અને જી.પી. એક્ટ-૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિકાસચંદ્ર અર્જુન ઝા આ કેસની તપાસ કરી રહ્યા છે. ફરિયાદીએ જણાવ્યું છે કે રાહુલ તેમનો મિત્ર હોવા છતાં, સારવારમાં રોકાયેલા હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો.
મહેશ્વરીનગરમાં વધતી ગુનાખોરી સામે સ્થાનિકોનો રોષ: પોલીસ કાર્યવાહીની માગ, નહીંતર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી ગુનાખોરી, ખૂની હુમલા, ચોરી, લૂંટ, ખુલ્લી દાદાગીરી અને દારૂના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ગયા છે. મહેશ્વરીનગર યુવા ગ્રુપ દ્વારા આ મામલે પૂર્વ કચ્છ એસ.પી. સાહેબને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી મહેશ્વરીનગરમાં આ પ્રકારના ગંભીર બનાવો સતત બની રહ્યા છે. આ અંગે પોલીસને લેખિત અરજીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, ઉલટાનું આવા બનાવોને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
મહેશ્વરીનગરના રહીશો આ પ્રકારની ગુનાખોરીથી ભયભીત બન્યા છે. શિક્ષિત અને વેપારી વર્ગના લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે કેટલાક લોકો તો પોતાના રહેઠાણ છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
યુવા ગ્રુપે માંગ કરી છે કે આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સામાજિક સંપત્તિઓને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે.
જો આ મામલે તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો, મહેશ્વરીનગરના સ્થાનિક રહીશો અને યુવા વર્ગ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પરિસ્થિતિ માટે સ્થાનિક પોલીસ તંત્ર અને અધિકારીઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે તેમ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.