ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં ચોમાસા પહેલાની કામગીરી (પ્રી-મોન્સુન કામગીરી) કેટલી હદે કરવામાં આવી છે તેની પોલ ખુલ્લી પડી છે. આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ટાગોર રોડ પર કરવામાં આવેલી મુલાકાત દરમિયાન ચોંકાવનારી સ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણીની નિકાસ લાઇનમાંથી કાઢવામાં આવેલો કચરો અને ગંદકી ખુલ્લેઆમ રોડ પર ફેંકવામાં આવ્યા હતા, અને નવાઈની વાત એ છે કે આ સ્થળ માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના લોકસંપર્ક કાર્યાલયની બરાબર સામે આવેલું છે.
છેલ્લા પાંચ દિવસથી આ દુર્ગંધયુક્ત કચરાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની ઋતુમાં ચેપી રોગો ફેલાવવાનો ખતરો અનેકગણો વધી જાય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ધારાસભ્યને આ ગંભીર અવ્યવસ્થા દેખાતી નથી? કે પછી જાણી જોઈને તેને અવગણવામાં આવી રહી છે?
આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ અધ્યક્ષ ડૉ. કાયનાત અંસારી આથાએ વ્યક્તિગત રીતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનો સંપર્ક કર્યો હતો અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
આ કામગીરી સમયે આમ આદમી પાર્ટીના નીલેશ મહેતા, મીનાક્ષી ત્યાગી, રાયસી દેવારિયા, અમૃત રાઠોડ, હિતેશ બરડોલીયા અને નીલેશ ડાફડા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.