ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ૪૦૦ ક્વાર્ટર વિસ્તારના રહીશો પાણી પુરવઠા અને સ્વચ્છતાની ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેના કારણે આજે તેમનો રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરીને ઘેરી “મહાનગરપાલિકા હાય હાય” ના નારા લગાવ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના મતે, તેમને અઠવાડિયામાં માત્ર એક જ વાર, અને તે પણ માત્ર ૩૦ મિનિટ માટે, અપૂરતા દબાણે પાણી મળે છે. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે નવી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળીને આવે છે, જે સીધું તેમના ઘરોમાં પ્રવેશે છે. આના કારણે પીવાના પાણીની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે અને આરોગ્ય જોખમમાં મુકાયું છે.

પાણીની સમસ્યા ઉપરાંત, ૪૦૦ ક્વાર્ટર વિસ્તારમાં નિયમિત સફાઈનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બન્યો છે.

આ ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે, ૪૦૦ ક્વાર્ટરના રહેવાસીઓએ ડેપ્યુટી કમિશ્નર, ગાંધીધામ મહાનગરપાલિકાને એક લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેમણે નિયમિત પાણી પુરવઠો, પાણીનું પૂરતું દબાણ, પાણીનો સમયગાળો વધારવા અને ગટર મિશ્રિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં નિયમિતપણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.