ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં આતંકવાદી અને અસામાજિક ઘટનાઓને રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ત્રણ મહત્વપૂર્ણ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. આ પગલાં જાહેર સલામતી અને શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યા છે, કારણ કે આવા તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે.
હોટલ, ગેસ્ટહાઉસ અને લોજ માટે નવી માર્ગદર્શિકા:
પ્રથમ જાહેરનામા અનુસાર, જિલ્લાની મહેસૂલી હદમાં આવેલી તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને લોજના માલિકોએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક તકેદારીના પગલાં લેવાના રહેશે. આ માર્ગદર્શિકામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
- મુસાફરોએ ફોટો ઓળખપત્ર રજૂ કરવું ફરજિયાત રહેશે.
- કાઉન્ટર પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત છે.
- મુસાફરોના ફોટો ઓળખકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ વગેરેની સ્વ-પ્રમાણિત નકલ હોટલના દફતરમાં અથવા કોમ્પ્યુટરમાં સાચવી રાખવી પડશે.
બોરવેલ અને ટ્યુબવેલ માટે નવી જોગવાઈઓ:
બીજા જાહેરનામામાં બોરવેલ અને ટ્યુબવેલના બાંધકામ સંબંધિત નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ:
- બોરવેલ/ટ્યુબવેલનું બાંધકામ શરૂ કરતા પહેલા, જગ્યાના માલિકે ૧૫ દિવસ અગાઉ સત્તામંડળ અને સ્થાનિક પોલીસને જાણ કરવાની રહેશે.
- બોરવેલ/ટ્યુબવેલના માલિક/ઉપયોગકર્તા/ડ્રિલિંગ એજન્સીએ બાંધકામ પહેલા અને પછી આ નિયમોનું પાલન કરવું પડશે.
સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત:
ત્રીજા જાહેરનામા હેઠળ, કચ્છની વિવિધ સંસ્થાઓ અને વ્યાપારી એકમોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે:
- રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો (કેશિયરની કેબિન, મુખ્ય દરવાજા અને ટ્રેઝરી ઉપર).
- પેટ્રોલપંપ, જ્વેલર્સની દુકાનો, શોપિંગ સેન્ટરો, હોટલ, ટોલનાકા અને સિનેમાઘરો.
- બેંક હસ્તકના એ.ટી.એમ. સેન્ટરો, બિન-બેંકિંગ સેન્ટરો (આંગણવાડી પેઢી, મની એક્સચેન્જ).
- ગેસ ફિલિંગ સેન્ટરો, મહત્વપૂર્ણ સ્થાપનો (વાઇટલ ઇન્સ્ટોલેશન), હેવી વોટર પ્લાન્ટ.
- તમામ પ્રાઇવેટ કંપનીઓ, મેડિકલ ફાર્મસી, મલ્ટીપ્લેક્સ થિયેટર, કોમર્શિયલ સેન્ટરો.
આ જાહેરનામાંનો હેતુ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો અને કોઈપણ પ્રકારની અસામાજિક કે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. તમામ સંબંધિત પક્ષોને આ જાહેરનામાઓનું ચૂસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.