ગાંધીધામ: 325 પ્રોપર્ટી માલિકોને GDAની નોટિસ, ગેરકાયદેસર બાંધકામ તોડવા આદેશ

ગાંધીધામ: 325 પ્રોપર્ટી માલિકોને GDAની નોટિસ, ગેરકાયદેસર બાંધકામ તોડવા આદેશ ગાંધીધામ: 325 પ્રોપર્ટી માલિકોને GDAની નોટિસ, ગેરકાયદેસર બાંધકામ તોડવા આદેશ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુરમાં એક તરફ એસઆરસી (SRC) ના લીઝ કેન્સલ થવાનો ભય મંડરાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) એ ગાંધીધામના મુખ્ય વિસ્તારોમાં 325 જેટલા પ્રોપર્ટી માલિકો ને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં તેમને ત્રણ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા નો આદેશ કરવામાં આવ્યો છે, જેનાથી વિસ્તારમાં ચર્ચાઓ તેજ બની છે.


GDAની કાર્યવાહીનું કારણ

GDA રહેણાક હેતુસર નિયમાનુસાર બાંધકામ થયેલું હોય તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે છે. જોકે, આ 325 પ્રોપર્ટીમાં નીચેના પ્રકારના ઉલ્લંઘનો જોવા મળ્યા છે:

Advertisements
  • રહેણાક સ્થાનો પર કોમર્શિયલ ગતિવિધિઓ શરૂ કરવી.
  • નિયમાનુસાર 66% ની જગ્યાએ 100% બાંધકામ કરવું.
  • “વન પ્લસ વન” ની જગ્યાએ નિયમો વિરુદ્ધ “વન પ્લસ ટુ” નું બાંધકામ કરવું.

આ ઉલ્લંઘનોને ઓળખીને GDA દ્વારા જિલ્લા ન્યાયાલયમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.


લાંબા સમયથી પ્રતીક્ષિત ચુકાદાઓ અને કાર્યવાહી

અન્ય શહેરોમાં સત્તામંડળોને ગેરકાનૂની બાંધકામ તોડી પાડવાની સીધી સત્તા હોય છે, પરંતુ GDA પાસે આવી સત્તા નથી. GDA દ્વારા નોટિસ પ્રક્રિયા બાદ જિલ્લા કોર્ટમાં કેસ કરવો પડે છે, અને કોર્ટનો હુકમ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાય છે. દાયકાઓ અગાઉ કરાયેલા આવા જ કેસો ગત વર્ષે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પટલ પર આવ્યા હતા, અને એક પછી એક તેના ચુકાદાઓ આવ્યા હતા. કોર્ટે આ 325 બાંધકામોને તોડી પાડવા માટે લીલી ઝંડી આપી હતી.

ત્યારબાદ GDA દ્વારા જે તે બાંધકામોને તોડી પાડવા માટે જેસીબી સહિતના સંશાધનો સાથેની એક એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું હતું. જોકે, કોઈ કારણોસર એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ GDA દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે કેટલાક પક્ષકારો ઉપલી અદાલતમાં ગયા હતા.

જોકે, હવે GDA ફરી સક્રિય બન્યું છે અને અગાઉ દસ દિવસની મુદત આપ્યા બાદ હવે વધુ ત્રણ દિવસનો સમય આપીને ગેરકાનૂની બાંધકામ તોડીને GDA ના નિયમો અનુસાર અથવા લીધેલી પરવાનગી અનુસારનું બાંધકામ કરવાનો આદેશ કર્યો છે.


SRC લીઝનો સળગતો પ્રશ્ન DPAને સોંપાયો

બીજી તરફ, SRC ની 2600 એકર જમીનમાં રહેણાક હેતુ માટે અપાયેલા પ્લોટો પર ઉભા થયેલા કોમર્શિયલ બાંધકામના પ્રશ્ન મુદ્દે SRC એ ત્રણ રોડને પ્રાથમિક ધોરણે કોમર્શિયલ કરી આપવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ને પરવાનગી માટે મોકલી આપવામાં આવ્યો છે.

28/11/1955 ના રોજ થયેલી DPA અને કેન્દ્ર સરકાર વચ્ચેની હેડ ડીલ મુજબ, તત્કાલીન ધોરણે કંડલા પ્રોજેક્ટ, ત્યારબાદ કંડલા પોર્ટ અને હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટીને SRC સંલગ્ન નિર્ણયો લેવાના પાવર અપાયા હતા. જોકે, આ એક નીતિ વિષયક મામલો હોવાથી DPA પણ આ “સળગતો કોલસો” પોતાના હાથમાં ન રાખીને તેને શિપિંગ મંત્રાલયમાં મોકલી આપે તેવી સંભાવના છે.


GDA ના સચિવ પદે ગાંધીધામ મનપાના કમિશનરની નિમણૂક

અગાઉ અંજાર પ્રાંતની જવાબદારી સાથે GDA ની જવાબદારી પણ નિભાવી ચૂકેલા વર્તમાન ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મેહુલ દેસાઈની GDA ના સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. GDA માં પૂર્ણકાલિન સચિવની જગ્યા ઉભી કરવામાં આવતા, તેનો હવાલો નાયબ મ્યુનિસિપલ કમિશનરને અપાયો છે.

Advertisements

આ બંને મોટા મુદ્દાઓ ગાંધીધામ-આદિપુરના પ્રોપર્ટી માલિકો અને વિકાસકર્તાઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. આગામી દિવસોમાં આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment