ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યાને સમય થયો હોવા છતાં, શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા ભારતનગર વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ સાઈબાબાજીના મંદિર સામેના માર્ગોની અત્યંત દયનીય હાલત સામે આવી છે. નાના-મોટા ખાડાઓ અને વરસાદી ઝાપટાંમાં પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાના કારણે આ માર્ગો પરથી પસાર થતા શાળાના બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક નાગરિકો અને વાલીઓ દ્વારા વોર્ડ નંબર 4 ના નગરસેવકોની ઘોર બેદરકારી ને આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. વાલીઓનું કહેવું છે કે, આ ખરાબ રસ્તાઓને કારણે બાળકોને શાળાએ આવવા-જવામાં પરેશાની થાય છે અને કોઈ મોટી દુર્ઘટના બનવાનો ભય પણ તોળાઈ રહ્યો છે. જો આવી કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.
ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી નવીન કે. અબચુગ દ્વારા આ મામલે વાલીઓની રજૂઆતને ટેકો આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું અત્યંત આવશ્યક છે. આ અંગે બાળકોના વાલીઓ દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને લોક રજૂઆત કરવામાં આવી છે.

જનતાની આ વાત સરકાર અને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખરાબ રસ્તાઓના કારણે ભવિષ્યના નાગરિકો એવા બાળકોને ભણવામાં પડતી મુશ્કેલી એ એક ગંભીર બાબત છે અને તેના પર તુરંત ધ્યાન આપવું જોઈએ.