ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.) સાથે એક વિસ્તૃત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગાંધીધામના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ પૂર્વ કચ્છ વિસ્તારમાં વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો હતો.

ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું કે, GCCIના પ્રયાસોથી PGVCL દ્વારા ભારે વરસાદ છતાં જાળવણી અને વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ, સ્ટાફની અછત, અને કંડલા પોર્ટ આધારિત ઉદ્યોગોને કારણે ઊભા થતા વીજ વપરાશના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે ખાસ કરીને નમક અને પ્લાયવુડ ઉદ્યોગોને થતી વોલ્ટેજની વધઘટથી થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અંજાર વર્તુળના એડીશનલ ચીફ એન્જિનિયર એ.સી. ચૌધરીએ ખાતરી આપી હતી કે, ગાંધીધામ માટે મંજૂર થયેલ અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગની ગ્રાન્ટ અન્યત્ર ટ્રાન્સફર થશે નહીં અને તેનું કામ ઝડપથી શરૂ થશે.
બેઠકમાં ઓપન ફોરમમાં ટ્રાન્સફોર્મર સેફ્ટી, ઝાડીઓથી ઘેરાયેલા ટ્રાન્સફોર્મર, અને ટેમ્પરરી કનેક્શનને કાયમી કરવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. PGVCLના અધિકારીઓએ ૪૭૬માંથી ૩૯૪ કિ.મી.ના એમવીસીસી (કન્ટેક્ટ કંડક્ટર સર્કિટ)નું કામ પૂર્ણ થયાની માહિતી આપી, જેનાથી ટ્રીપિંગ ઘટશે અને વીજ પુરવઠો સ્થિર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખે જણાવ્યું કે, સ્થિર અને ગુણવત્તાવાળો વીજ પુરવઠો ઉદ્યોગો માટે જીવનરેખા સમાન છે. આ બેઠકથી વીજ સમસ્યાઓના ઉકેલની દિશામાં સકારાત્મક પગલાં લેવાશે તેવી આશા રાખવામાં આવી રહી છે. GCCI દ્વારા આગામી સમયમાં પણ રાજ્ય સરકાર અને વીજ કંપની સાથે સંકલન સાધીને આ સમસ્યાઓના નિવારણ માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.