ગાંધીધામ: દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવવામાં આવે છે. સમાજની મુખ્ય ધારાથી વિખૂટા પડેલા વિશ્વના આદિવાસી સમુદાયોને સન્માન આપવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 1994માં આ દિવસને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો.

આ નિમિત્તે, ગાંધીધામ ખાતે આદિવાસી ભીલ યુવા સંગઠન અને ગાંધીધામ ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશાળ સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જાતિ પ્રમાણપત્રની સમસ્યા સામે લડતની રણનીતિ
This Article Includes
આ ઉજવણી દરમિયાન, આદિવાસી સમાજ દ્વારા ભવિષ્યમાં જાતિ અંગેના દાખલાઓમાં થતી હેરાનગતિ અને સમસ્યાઓ સામે સરકાર સામે લડત આપવા માટેની વિસ્તૃત રણનીતિ ઘડવામાં આવી હતી. આ અવસરે, તમામ પક્ષના અગ્રણીઓ અને વિવિધ સંગઠનોને એક મંચ પર આવીને આ લડત માટે સહયોગ આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય આદિજાતિ દિલ્હીના પ્રમુખ રંજનબેન ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આદિવાસી ભીલ યુવા સંગઠનના પ્રમુખ બાબુભાઈ રાણા, ઉપપ્રમુખ કાંતિભાઈ રાણા, મહિલા પ્રમુખ અને કાઉન્સિલર નેતલબેન રાણા, મહામંત્રી મુકેશભાઈ રાણા, મંત્રી જકસીભાઈ રાણા, સંગઠન મંત્રી હીરાભાઈ રાણા, શિક્ષણ મંત્રી ઈશ્વરભાઈ રાણા અને રમેશભાઈ રાણા, સહમંત્રી વિક્રમભાઈ રાણા અને નવઘણભાઈ રાણા, રમતગમત મંત્રી નવીનભાઈ રાણા, મીડિયા અને સંચાર મંત્રી પ્રકાશભાઈ રાણા, ખજાનચી ચેતનભાઈ માજીરાણા સહિત આદિવાસી ભીલ યુવા સંગઠન, ગાંધીધામના તમામ લડાયક યુવા મિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર સંપન્ન થયો, જેમાં આદિવાસી સમાજે પોતાની એકતા અને અધિકારો પ્રત્યેની જાગૃતિનો પરિચય આપ્યો.