ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ નગર દ્વારા સમાજમાં સમરસતા વધારવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલ ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન, તેમણે વિવિધ સમાજોના આગેવાનો અને યુવાનો સાથે મુલાકાત કરી અને સમરસતાના દર્શન કરાવ્યા.

આ મુલાકાતમાં રસેશભાઈ રાવલે મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી વિજય માતંગ દેવ સાથે ખાસ મુલાકાત કરી. તેમણે મહેશ્વરી સમાજના યુવાનો સાથે વાતચીત કરી અને તેમના ભગવાન શ્રી લુણંગ દેવ અને તેજપાર મતિયા દેવના સ્થાનકોના દર્શન પણ કર્યા. આ મુલાકાત દરમિયાન, કમલેશભાઈ મહેશ્વરીના નિવાસસ્થાને ભોજન ગ્રહણ કર્યું અને સમાજના અગ્રણી હીરાભાઈ ધુવા પણ જોડાયા હતા.

ત્યારબાદ, શ્રી રાવલે સોઢા સમાજના પિથોરા દાદાના દર્શન કર્યા અને વિક્રમસિંહ સોઢા પણ તેમની સાથે રહ્યા હતા.આ પ્રવાસનો મુખ્ય આકર્ષણ ગાંધીધામ અને આદિપુરના આસ્થા કેન્દ્ર સમાન પંચમુખી હનુમાન મંદિરે પરમ પૂજ્ય સંત શ્રી પ્રકાશ આનંદ મહારાજની મુલાકાત હતી. આ મુલાકાતમાં સમાજ અને ધર્મના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર પ્રવાસ દરમિયાન ગાંધીધામ નગર મંત્રી કાનજીભાઈ ચૌધરી, નગર સહમંત્રી શંકરભાઈ ઢીલા, અને ધર્મપ્રચાર પ્રમુખ હિતેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક સમાજમાં સમરસતાનું વાતાવરણ નિર્માણ કરવાનો હતો અને વિશ્વ હિન્દુ પરિષદે દરેક સમાજના યુવાનોને આ કાર્યમાં જોડાવા માટે આગ્રહ કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પરસ્પર પ્રેમ, સદભાવ અને એકતાની ભાવના મજબૂત બની છે.