ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે, ગુડ્ડીબેન રાહુલભાઈ ભીલવાડને પ્રસુતિની પીડા ઉપડતાં, આશાવર્કર દિવાળીબેને તાત્કાલિક ૧૦૮ પર ફોન કર્યો હતો. ગાંધીધામથી ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દર્દીની ગંભીર સ્થિતિ જોતા, એમ્બ્યુલન્સમાં હાજર ઈએમટી રાજેશ ચૌધરી અને પાયલોટ ભરતભાઈએ સમયસૂચકતા વાપરી. તેમણે જોયું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસુતિ થઈ જશે, તેથી તેમણે એમ્બ્યુલન્સમાં જ ઉપલબ્ધ ડિલિવરી કીટ અને તેમની કુશળતાનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી.
જોકે, જન્મ પછી બાળકની હાલત થોડી નાજુક જણાતાં, અમદાવાદ ખાતેના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ, માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
૧૦૮ની ટીમના આ સમયસર અને સરાહનીય કાર્ય બદલ દર્દીના પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ૧૦૮ની ટીમ કટોકટીના સમયે જીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.