ગાંધીધામ ટુડે, ન્યૂઝ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ગાંધીધામ ખાતે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે સંઘના કાર્યના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક શતાબ્દી વર્ષના પ્રારંભનું પ્રતીક બની રહ્યો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા, જેણે સમાજમાં શક્તિ જાગરણ અને રાષ્ટ્રભાવનાને દૃઢ બનાવવાનો સંદેશ આપ્યો.

પથ સંચલન અને સર્વ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત
This Article Includes
કાર્યક્રમની શરૂઆત સાંજે 5:00 કલાકે નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલન દ્વારા કરવામાં આવી હતી. RSSના ભાઈપ્રતાપ ઉપનગર દ્વારા આયોજિત આ સંચલનમાં સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો.

આ પથ સંચલન દરમિયાન, ગાંધીધામના મુખ્ય બજારોમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વયંસેવકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સનાતન શ્રીરામ સંગઠન, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સ્વ. નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ, રીવા જવેલર્સ, દેવીપૂજક સમાજ, કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ, કિડાણા ક્ષત્રિય સમાજ, ભારત વિકાસ પરિષદ ભારત નગર શાખા, વાગડ લુહાણા રઘુવંશી પરિવાર, સતવારા યુવા સેવા ટ્રસ્ટ, પાંચ પરંગણા બ્રહ્મસમાજ, રાવળ સમાજ અને રાવળ યોગી મિત્રમંડળ, કચ્છ ગોરખા સમાજ, સિંધી સમાજ, ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના – કચ્છ, ગાંધીધામ વેપારી મંડળ, સમસ્ત પાટીદાર સમાજ, કર્તવ્ય ગ્રુપ, લાજવાબ ધ ડિઝાઇનર બ્યૂટી ક્યુ, સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીધામ તાલુકા, ગુરુકુળ યૂથ ક્લબ, અને જય જગન્નાથ સેવા ટ્રસ્ટ (ઉડિયા સમાજ) જેવી ૨૫થી વધુ સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું. આ સ્વાગત સમારોહમાં દરેક સમાજ સંસ્થાના પ્રમુખો અને આગેવાનો જોડાયા હતા, જેણે સામાજિક સમરસતાનું અદ્ભુત દ્રશ્ય રજૂ કર્યું હતું.

ધ્વજારોહણ અને બૌદ્ધિક ઉદ્બોધન
પથ સંચલન બાદ અપનાનગરના બી-મેદાન ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. અહીં ધ્વજારોહણ અને સ્વયંસેવકો દ્વારા વિવિધ શારીરિક પ્રત્યક્ષિકાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વક્તા ચંદ્રકાંતભાઈ ઘેટીયાનું બૌદ્ધિક ઉદ્બોધન યોજાયું હતું, જેમાં તેમણે સંઘના કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સ્વયંસેવકોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સતવારા યુવા સેવા ટ્રસ્ટ દ્વારા બૌદ્ધિક કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વયંસેવકો માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર ઉત્સવ થકી ગાંધીધામના નગરજનોમાં રાષ્ટ્રીય ભાવના અને સામાજિક જવાબદારીનો સંસ્કાર વધુ મજબૂત બન્યો હતો.