ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ અને ભારત સરકારના આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને સાકાર કરવાના શુભ આશયથી, ગાંધીધામ મહાનગરપાલિકા અને દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPT), કંડલાના સંયુક્ત ઉપક્રમે ‘સ્વદેશી મેળા’નો ભવ્ય આરંભ કરવામાં આવ્યો છે. આ મેળો તા. ૦૭/૧૦/૨૦૨૫ થી તા. ૨૦/૧૦/૨૦૨૫ સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર, રોટરી સર્કલ પાસે, ગાંધીધામ – કચ્છ ખાતે યોજાશે.
મેળાનો ઉદ્દેશ્ય: ‘વોકલ ફોર લોકલ ‘ અને ‘વિકસિત ભારત’
This Article Includes
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદકો, કલાકૃતિઓ, સેવાઓ, ક્રાફ્ટ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી, ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની સંકલ્પનાને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ ‘સ્વદેશી મેળો’ આપણી સમૃદ્ધ પરંપરા અને આધુનિક વિકાસનો સંગમ બની રહેશે, જે થકી સ્થાનિક કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને તેમના ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવા માટે એક મજબૂત મંચ મળી રહેશે.

૫૦થી વધુ સ્ટોલ્સ પર સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન
મેળામાં ૫૦ (પચાસ) થી પણ વધુ સ્ટોલ્સ પર સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, આર્ટસ અને ક્રાફ્ટના અદભુત નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી ચાલનારા આ મેળામાં ખરીદીની સાથે સાથે અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ખાસ આકર્ષણના ભાગરૂપે, વિવિધ પ્રકારના વ્યંજનો માટે ફૂડ સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે રમત-ગમતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને લોકનૃત્ય જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મેળાની રોનક વધારશે.

ઉદ્ઘાટન સમારોહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
મેળાના શુભ આરંભ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, મનપા કમિશનર શ્રી મનીષ ગુરવાની, દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPT)ના ડેપ્યુટી ચેરમેન શ્રી નીલાભ્ર દાસગુપ્તા સહિત અનેક મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂકી, લોકોને આ મેળાની બહોળી સંખ્યામાં મુલાકાત લેવા અને સ્વદેશી ઉત્પાદનોને ખરીદીને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક અપીલ કરી હતી.

જનસંપર્ક અધિકારી દ્વારા લોકોને આ સાંસ્કૃતિક અને આર્થિક ઉત્સવમાં જોડાઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
