ઘર પહોંચ્યા વગર ઘરવખરી ગુમ! શ્યામ કાર્ગો દ્વારા અઢી લાખનો વિશ્વાસઘાત

ઘર પહોંચ્યા વગર ઘરવખરી ગુમ! શ્યામ કાર્ગો દ્વારા અઢી લાખનો વિશ્વાસઘાત ઘર પહોંચ્યા વગર ઘરવખરી ગુમ! શ્યામ કાર્ગો દ્વારા અઢી લાખનો વિશ્વાસઘાત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના વેલસ્પનના વેલહોમ વિસ્તારમાં રહેતી અને નિમ્સ યુનિવર્સિટીમાં નોકરી કરતી કમલાબેન વિજયસિંહ રાવતે શ્યામ કાર્ગો કુરીયર સામે ભારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના અંદાજિત ₹2.50 લાખના ઘરવખરીના સામાન સાથે કુરીયર કંપનીએ વિશ્વાસઘાત કર્યો છે.

કમલાબેન અગાઉ વેલસ્પનમાં સ્ટેલ મેનેજર તરીકે નોકરી પર હતાં. વર્ષ 2024માં તેમનું ટ્રાન્સફર મહારાષ્ટ્રના શિરપુર ખાતે નિમ્સ યુનિવર્સિટીમાં થતાં તેમણે ઘરવખરી શિફ્ટ કરવા માટે “શ્યામ કાર્ગો”ના બીજેંદ્રસિંહનો સંપર્ક કર્યો હતો. એક કાર્ટન માટે ₹900 નક્કી થયા બાદ, કમલાબેનના ટીવી, વોશિંગ મશીન, રજાઈ, બેડશીટ, કપડા, રસોડાનો સામાન અને અન્ય ગીફ્ટ આઈટમો સહિત કુલ 13 કાર્ટનમાં પેક કરાયેલ સામાન 5 ઓક્ટોબર, 2024ના રોજ વેલહોમથી છોટા હાથીમાં લદાવી લઇ જવામાં આવ્યો હતો.

તેમણે બીજેંદ્રસિંહના બેંક એકાઉન્ટમાં તબક્કાવાર કુલ ₹16,000 ચૂકવ્યા હતા. બાદમાં બીજેંદ્રે વધુ ₹21,000નું બિલ મોકલ્યું હતું, જેને લઈ કમલાબેને જણાવ્યું હતું કે બાકી પેમેન્ટ સામાન શિરપુર પહોંચ્યા બાદ કરવામાં આવશે.

સામાન સમયસર ન પહોંચતાં ફરિયાદીએ જ્યારે સંપર્ક કર્યો તો બીજેંદ્રએ કહેવું શરૂ કર્યું કે સામાન ભૂલથી બેંગલોર ચાલ્યો ગયો છે અને ત્રણથી ચાર દિવસમાં પહોંચી જશે. થોડા દિવસ પછી ફરી પૂછપરછ કરતા કહ્યું કે સામાન હવે નાશિકમાં છે. બાદમાં બીજેંદ્રસિંહે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું અને ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું.

આ સમગ્ર બાબતે કમલાબેન રાવતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આદિપુરના રામબાગ રોડ સ્થિત શ્યામ કાર્ગો કંપનીએ ન માત્ર તેમનો અંદાજિત ₹2.5 લાખનો સામાન ન પહોંચાડ્યો, પણ ₹16 હજાર પણ લઈ લીધા અને વિશ્વાસઘાત કર્યો.

પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *