ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એસ.આર.કે. ઇન્સ્ટિટ્યૂટ, સાપેડા અને ગુજરાત સરકારના i-Hub અમદાવાદના સહયોગથી ગાંધીધામ ખાતે એક અનોખા પ્રકારની સ્ટાર્ટઅપ કોનફરન્સ યોજાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના કારોબારી સભ્ય અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી કૈલાશ ગોરે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કચ્છના યુવા ઉદ્યોગકારોને નવી ટેક્નોલોજી અને વિચારો સાથે જોડવાનું અને પ્રદેશના ઉદ્યોગોને નવી દિશા આપવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું હતું.
i-Hubના પ્રતિનિધિ અભિમન્યુ સિંહે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ગુજરાત સરકારના નવિન પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે ચેમ્બરનાં માનદ સચિવ શ્રી મહેશ તીર્થાણીએ કચ્છના લોકલ ઉદ્યોગો માટે સ્ટાર્ટઅપ્સ કેવી રીતે અવકાશ ઊભું કરી શકે તે વિષય પર પ્રકાશ પાડ્યો.
એસ.આર.કે. ઇન્સ્ટિટ્યૂટની કેમ્પસ હેડ ડો. સુરભિ આહિરે ગિગ વર્કર્સ, હેન્ડીક્રાફ્ટ અને કૃષિ ક્ષેત્રમાં સ્કિલ ડેવલપમેન્ટની જરૂરિયાતને સ્પષ્ટ કરતાં સંસ્થાની યોજનાઓ રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કૃષિ વિકાસ માટે અલગ સેમિનાર પણ યોજવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું કે આવી બેઠકોથી કચ્છના ઉદ્યોગકારોને નવી તકનીકી શક્યતાઓ મળશે અને ચેમ્બર દ્વારા કૃષિ, લોજિસ્ટિક્સ તથા સ્થાનિક નોકરીઓ માટે વિશેષ તાલીમ કેમ્પ્સ અને નેટવર્કિંગ સહાય પણ આપવામાં આવશે.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પારસમલ હાટા તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.