ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે અદાણી ગ્રુપના ચેરમેન આદરણીય શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિવસ નિમિત્તે, આરતી ફર્નિચર પરિવારે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ શુભ અવસરે, આરતી ફર્નિચર દ્વારા નિર્મિત એક સુંદર કન્ટેનર શિપની પ્રતિકૃતિ ગૌતમભાઈને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ ભેટ અદાણી પ્રત્યેની તેમની ઊંડી લાગણી અને કૃતજ્ઞતાનું પ્રતીક છે.
આરતી ફર્નિચર પરિવારે જણાવ્યું હતું કે તેઓ હંમેશા અદાણી ગ્રુપના ઋણી રહેશે. તેમના સંદેશમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ આજે સમગ્ર વિશ્વમાં વિસ્તરેલું છે, જેનો પ્રારંભ મુંદ્રાથી થયો હતો. ગૌતમભાઈ અદાણીના હૃદયમાં મુંદ્રાનું વિશેષ સ્થાન છે, અને વૈશ્વિક ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ મુંદ્રા અને કચ્છ સાથે પાયાથી જોડાયેલા છે, જેના કારણે તેમને ‘સવાયા કચ્છી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુંદ્રાના કાયાકલ્પમાં અદાણીનો સિંહફાળો: રોજગારી અને જીવનધોરણમાં ક્રાંતિ
આરતી ફર્નિચર પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના આગમન પહેલાં મુંદ્રાની સ્થિતિ કંઈક અલગ જ હતી, અને આજે તે વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે. આ પરિવર્તન શ્રી ગૌતમ અદાણીની દીર્ઘદ્રષ્ટિ અને અદમ્ય સાહસને આભારી છે. અદાણી ગ્રુપના પ્રયાસોથી રોજગારીની નવી તકો, પાયાની અને માળખાકીય સુવિધાઓ, શિક્ષણ-આરોગ્ય જેવી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના પરિણામે સ્થાનિક લોકોના જીવનધોરણમાં પણ ઉચ્ચ સ્તર આવ્યું છે. આજે અદાણી ગ્રુપ એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ બન્યું છે, જે સમગ્ર પ્રદેશ માટે આશીર્વાદરૂપ છે.

સાહસ અને સાદગી: પ્રેરણાદાયક વ્યક્તિત્વ
સંદેશમાં ગૌતમ અદાણીના સાહસ અને સાદગીને લોકો માટે પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યા હતા. આરતી ફર્નિચર પરિવારના એક સભ્યએ પોતાનો વ્યક્તિગત અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “અદાણી શાંતિવન કોલોનીમાં મેં ૧૧ વર્ષ કાર્પેન્ટર તરીકે નોકરી કરી. અદાણી ગ્રુપે મારી કામગીરી અને પ્રતિભા જોઈને મને અદાણી ગ્રુપ સાથે જોડાવાની તક આપી. ત્યારથી મેં પાછળ વળીને જોયું નથી, અને આજે હું જે મુકામ હાંસલ કરી શક્યો છું, તે અદાણી ગ્રુપ, શ્રી રક્ષિતભાઈ શાહ અને ગૌતમભાઈ અદાણીને આભારી છે.”
શ્રી રક્ષિતભાઈ શાહ (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, અદાણી પોર્ટ) નો પણ આ સંદેશમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમને પાયાના સ્તરથી જોડાયેલા વ્યક્તિ તરીકે અને નાનામાં નાના માણસને પણ સાંભળીને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. બે વર્ષ પહેલાં શ્રી રક્ષિતભાઈ શાહે તેમની કાષ્ટકળાને ભારોભાર બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી, જેનો પણ આરતી ફર્નિચર પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છ-ગુજરાતની વૈશ્વિક ઓળખમાં અદાણી ગ્રુપનું યોગદાન
આજે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જ્યારે રાજ્ય બહાર જાય છે, ત્યારે તેને “કહાં સે આય હો?” એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. જવાબમાં ગુજરાત-કચ્છ કહેતા જ સામેવાળો તરત જ “અરે ક્યા વિકાસ કિયા હૈ કચ્છ ગુજરાત મેં” એવું કહે છે. આ સાંભળીને દરેક ગુજરાતીની છાતી ગદ્ગદ ફૂલી જાય છે. આરતી ફર્નિચર પરિવારે જણાવ્યું હતું કે મુન્દ્રા, કચ્છ-ગુજરાતને ભારત અને સમગ્ર વિશ્વમાં નામના અપાવવામાં અદાણી ગ્રુપનો સિંહફાળો છે.
અંતે, આરતી ફર્નિચર પરિવારે પ્રભુ મહાવીર ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે અદાણી ગ્રુપ વર્ષે વર્ષે નવી સિદ્ધિઓ હાંસલ કરે અને કચ્છ, ગુજરાત અને ભારતને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અપાવે.