ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અશોક એમ. મહેશ્વરીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ગાંધીધામની વ્યાજબી ભાવની દુકાનોમાં વર્ષોથી ચાલતા કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને તેમાં સંડોવાયેલા “મોટા માથાઓ” સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્રમાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૫ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં પપિશેઠ નામના વહીવટદારની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
મહેશ્વરીએ જણાવ્યું છે કે, ગાંધીધામના પૂર્વ-કચ્છમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫૩ સસ્તા અનાજની દુકાનો હતી. જેમાં કેટલાક દુકાનદારોના વહીવટદાર તરીકે પપિશેઠ વર્ષોથી કાર્યરત છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક દુકાનોમાં અનાજની ઘટ માલુમ પડતા લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેના પરિણામે કેટલાક દુકાનદારોએ રાજીનામા પણ આપ્યા છે.
૨૫ વર્ષથી ચાલતા ભ્રષ્ટાચારનો આરોપ
મહેશ્વરીએ આક્ષેપ કર્યો છે કે, જે દુકાનદારોએ રાજીનામા આપ્યા છે તે છેલ્લા ૨૫ વર્ષથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને તેમના રાજીનામા સ્વીકારવામાં ન આવે. તેમણે માંગણી કરી છે કે આ રાજીનામા આપનાર દુકાનદારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર જણાય તો તેમના રાજીનામા નામંજૂર કરવામાં આવે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, જો જૂના અને મોટા દુકાનદારો, જેમની પાસે ૫૦૦, ૧૦૦૦ કે ૨૦૦૦ રેશનકાર્ડ હતા અને ૮ થી ૧૦ દુકાનો ધરાવતા હતા, તેમની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. આ “મોટા માથાઓ” રાજકીય અને વહીવટી લાગવગ ધરાવતા હોવાથી મોટા ભ્રષ્ટાચારો આચરી રહ્યા હોવાનું પણ મહેશ્વરીએ જણાવ્યું હતું. તેમના મતે, આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડો-અબજોમાં જઈ શકે છે.
આદિપુરની દુકાન અને એસોસિએશનના વડાઓ પર સવાલ
મહેશ્વરીએ આદિપુરની એક દુકાનની તાજેતરની તપાસનું “ભીનું સંકેલવામાં” આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે સસ્તા અનાજ એસોસિએશનના વડાઓની દુકાનોની પણ તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, તેમના વર્તમાન અને અગાઉના કાર્ડની સંખ્યાની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારના આંકડાનો ચોક્કસ ખ્યાલ આવી શકે છે.
અશોક મહેશ્વરીએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, આ ભ્રષ્ટાચાર આચરીને બનાવેલી સંપત્તિની તપાસ કરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર જણાય તો તે સંપત્તિને નીલામ કરીને વસૂલાત કરવામાં આવે. આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.