ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડની વેબસાઇટ ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી 2025ના અંતમાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.
વેબસાઇટ ઠપ્પ થવાના કારણે વિદ્યાર્થીઓ તાત્કાલિક પોતાનું પરિણામ જોઈ શક્યા ન હતા અને તેઓ પરિણામ જાણવા માટે અધીરાઈથી રાહ જોતા જોવા મળ્યા હતા.
જોકે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77 ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49 ટકા રહ્યું છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર અંગેની માહિતી હવે પછી આપવામાં આવશે. પરીક્ષા પછી ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અને માર્કશીટ તથા પ્રમાણપત્ર શાળાઓને મોકલી આપવામાં આવશે.