ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા આખલાઓનો ત્રાસ વકર્યો છે. રસ્તાઓ પર આખલાઓના અડિંગા અને તેમની વચ્ચે થતા યુદ્ધોને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં માખીઓના ત્રાસથી આખલાઓ રસ્તા વચ્ચે બેસી રહે છે, જે માર્ગ અકસ્માતનો ભય ઉભો કરે છે. આખલાઓના આતંકથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોએ ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરના આદેશ અને ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ, ગાંધીધામ મહાનગરપાલિકાએ રખડતા આખલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. ગતરાત્રિથી શરૂ થયેલી આ ઝુંબેશમાં, પ્રથમ તબક્કામાં ટાગોર રોડ જેવા મુખ્ય માર્ગો પરથી આખલાઓને પકડવામાં આવશે, ત્યારબાદ આંતરિક વિસ્તારોને આવરી લેવામાં આવશે.

પકડાયેલા આખલાઓને રામલીલા મેદાન ખાતે રાખવામાં આવશે. આ માટે મેદાનમાં સાફસફાઈ કરી, પાણીના અવાડા અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી ચલાવવામાં આવશે અને જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત પણ લેવામાં આવશે તેમ પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આશા છે કે આ ઝુંબેશથી ગાંધીધામના લોકોને રખડતા આખલાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે.