ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જય જય ગરવી ગુજરાતના નાદ સાથે ખંત અને ખમીરની ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની ગાંધીધામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે કર્તવ્ય ટીમ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી, ભાઈ પ્રતાપજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદજી અને શહેરમાં વિવિધ સ્થળોએ સ્થાપિત અન્ય વીર અને મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ, સુશોભન અને ફૂલહાર કરવામાં આવ્યા હતા. સામાજિક અગ્રણી શ્રી રમેશભાઈ અને કર્તવ્ય ટીમ ના હંસરાજ કિરી સહિત અનેક કાર્યકર્તાઓ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
તો વિશ્વ યજ્ઞ દિવસ નિમિત્તે કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

યજ્ઞ એ સનાતન હિન્દુ સંસ્કૃતિની આગવી ઓળખ છે, અને તેના વૈદિક મંત્રોચ્ચાર, ગૌમાતાના ઘી અને ગોબરના છાણાંની આહુતિથી નીકળતી અગ્નિની જ્વાળાઓ અને ધુમાડો સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. કર્તવ્ય ટીમ ના હંસરાજ ભાઈ કિરીએ જણાવ્યું હતું કે વાહનો અને કારખાનાઓ દ્વારા ફેલાતું પ્રદૂષણ આજે વિશ્વ માટે એક મોટી સમસ્યા છે, અને તેનાથી બચવા માટે પ્રત્યેક ઘરમાં યજ્ઞ કરવો જરૂરી છે. પ્રદૂષણને કારણે છેલ્લા ૪-૫ વર્ષથી કચ્છનું વાતાવરણ બદલાયું છે, અને પર્યાવરણની શુદ્ધિ માટે વૈદિક યજ્ઞ ખૂબ જ મહત્વપૂર્ણ છે.