ગાંધીધામમાં વીજ પુરવઠાની વિકટ સ્થિતિ સામે ચેમ્બરની PGVCLને રજૂઆત

ગાંધીધામમાં વીજ પુરવઠાની વિકટ સ્થિતિ સામે ચેમ્બરની PGVCLને રજૂઆત ગાંધીધામમાં વીજ પુરવઠાની વિકટ સ્થિતિ સામે ચેમ્બરની PGVCLને રજૂઆત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઝડપથી વધી રહેલી વસ્તી, ઉદ્યોગો અને વેપારના સતત વિસ્તરણને લીધે શહેરમાં વીજ પુરવઠાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ઉનાળાની તીવ્ર ગરમી અને આવનારી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા PGVCLના અંજાર ડિવિઝનના સુપરીન્ટેન્ડિંગ ઇજનેરને પત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

ચેમ્બર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગાંધીધામ-આદિપુર-જોડિયા જેવા વિસ્તારો મહાનગરપાલિકા ક્ષેત્રમાં આવતાં, રોજબરોજ નવી વસતિ ઉમેરાઈ રહી છે. જેના પરિણામે વીજ પુરવઠાની માંગ મા પણ નોંધપાત્ર વધારો થયો છે. અનેક વિસ્તારોમાં વીજ ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ્સ (DPs)ની હાલત અત્યંત જોખમજનક બની ગઈ છે — કેટલાકમાં દરવાજા ખુલ્લા છે, કટઆઉટ ખુલ્લા હાલતમાં છે, તો કેટલાક DPsમાં કચરાના ગંજ જમા થયા છે, જેનાથી શોર્ટસર્કિટ કે આગ લાગવાની ગંભીર શક્યતાઓ ઊભી થઈ છે.

ફાયર સેફટીની પણ ગંભીર ચિંતા: ચેમ્બરના જણાવ્યા અનુસાર ખાસ કરીને મેઇન બજાર વિસ્તારમાં જો શોર્ટસર્કિટ થાય તો ફાયર ફાઇટર વાહનોને અંદર પ્રવેશવામાં તકલીફ પડે એવી સમસ્યા સર્જાય છે, જે ગંભીર જાનહાનીનું જોખમ ઉભું કરે છે.

અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને મરામતના કામ માટે સમયમર્યાદા નક્કી કરો: ચેમ્બરના પ્રમુખ શ્રી મહેશ પુજેએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વીજ પુરવઠાની સુસંગતતા અને સુરક્ષા એ ચેમ્બરની મુખ્ય પ્રાથમિકતા છે. ચોમાસા પહેલા PGVCLએ તમામ ખોટા/જર્જરિત ડીપી, કટઆઉટ અને વીજ પોલની મરામત તાત્કાલિક કરવી જોઈએ. ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી કામ શરૂ કરવું જરૂરી છે, જેથી વરસાદના પાણી ખાડાઓમાં ભરાઈ અકસ્માત સર્જાય નહીં.

અર્બન વીજ સબ ડિવિઝનની પણ માંગ: ચેમ્બરના માનદ મંત્રી શ્રી મહેશ તીર્થાણીએ ઉમેર્યું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોના સમાવેશને પગલે એક અલગ અર્બન વીજ સબ ડિવિઝન રચવાની જરૂરિયાત વધી છે. વધુ વસતિ અને ઔદ્યોગિક વિસ્તરણને આધારે શ્રેષ્ઠ સંચાલન માટે નવી સબ ડિવિઝન જરૂરી છે, સાથે જરૂરી સ્ટાફ અને સાધનો પણ ઉપલબ્ધ કરાવાં જોઈએ.

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સમસ્યા પણ ઉઠાવવામાં આવી: શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાને કારણે રાત્રિ દરમ્યાન અકસ્માત થવાની શક્યતાઓ છે. ચેમ્બરે તમામ સ્ટ્રીટલાઈટોને ફરી કાર્યરત કરવાની પણ તાકીદ કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *