ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં કોરોના ફરીથી તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 185 નવા કેસ નોંધાયા છે. તેથી કુલ સંક્રમણનો આંક 1,007 પર પહોંચી ગયો છે. ખાસ નોંધનીય છે કે છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કોરોનાએ 1000નો આંક વટાવ્યો છે, જે તંત્ર માટે ચિંતા જગાવતું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, હાલ રાજ્યમાં કુલ 980 સક્રિય કેસ છે. તેમાં 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 948 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશના સ્તરે જોવાતું જાય તો કેરળ પછી સૌથી વધુ કેસ હાલમાં ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. કેરળમાં કોરોના કેસનો આંક 1,900ને વટાવી ચૂક્યો છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.
આ સ્થિતિને જોતા આરોગ્ય વિભાગે અલર્ટ મૂડ અપનાવ્યો છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોના માટેની તાત્કાલિક સારવારની તૈયારી કરવામાં આવી છે. ઉપરાંત, આરોગ્ય વિભાગે ખાંસી કે છીંક આવે ત્યારે મોં ઢાંકળવા, જાહેર જગ્યાએ થૂકવાથી બચવા, વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તથા કોમોબિડિટીઝ ધરાવતા તથા રોગપ્રતિકારક શક્તિ નબળી ધરાવતા લોકોને ભીડભાડથી દૂર રહેવાની ખાસ સલાહ આપી છે.
તબીબોના જણાવ્યા અનુસાર હાલ જે કેસ વધી રહ્યા છે તે મુખ્યત્વે ઓમિક્રોન સ્ટ્રેનના સબ-વેરિયન્ટના કારણે છે. તેનાથી થનારા લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અથવા લક્ષણવિહીન હોય છે. તેથી લોકોમાં ભયનું વાતાવરણ નહીં ઉભું થાય તે પણ તંત્રનું ઉદ્દેશ છે.
તંત્રની અપીલ છે કે લોકોને ભય ન રાખવો, પરંતુ જાગૃત રહેવું અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.