ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ઓનલાઈન વ્યવહારો સામાન્ય બન્યા છે, ત્યારે સાયબર ગુનેગારોનો ત્રાસ પણ વધ્યો છે, જે સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાતી ફરિયાદોના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
ચિંતાજનક આંકડા: પૂર્વ કચ્છમાં, વર્ષ 2024 દરમિયાન 3,450 લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા હતા. ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 1,490 ફરિયાદો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે, જે સાયબર ગુનાઓની વધતી જતી સંખ્યા દર્શાવે છે.
પોલીસની સફળ કામગીરી: આ પાંચ મહિના દરમિયાન, લોકોએ ઓનલાઈન છેતરપિંડીમાં રૂ. 7.28 કરોડથી વધુ ગુમાવ્યા છે. જોકે, ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.45 કરોડથી વધુ રકમ હોલ્ડ કરાવી છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ ડી.જી. પટેલે જણાવ્યું કે, કુલ 217 કોર્ટ ઓર્ડર મેળવી ભોગ બનેલા લોકોને રૂ. 71.45 લાખથી વધુ પરત અપાવવામાં આવ્યા છે અને ગુમાવેલી રકમ પરત અપાવવાના પ્રયાસો સતત ચાલુ છે.
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ: તાત્કાલિક મદદ માટેનો સેતુ
This Article Includes
જ્યારે નાગરિકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે, ત્યારે નાણાંને તાત્કાલિક રોકવા અને ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “સાયબર આશ્વસ્ત” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હાલ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ હસ્તક કાર્યરત છે.
કેવી રીતે કાર્ય કરે છે: સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત, સાયબર ક્રાઈમ ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU) છેતરપિંડી દ્વારા ટ્રાન્સફર થયેલા નાણાંને તાત્કાલિક રોકવાની કામગીરી કરે છે. સાયબર ક્રાઈમના ભોગ બનનાર નાગરિકો 1930 નંબર ડાયલ કરીને સીધી ફરિયાદ નોંધાવી શકે છે. IRU દ્વારા એક ટિકિટ નંબર આપવામાં આવે છે. આ સાથે, શંકાસ્પદ બેંક ખાતામાં ગયેલા નાણાં ફ્રીઝ કરાવવા અને જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયા હોય તો તેની માહિતી આપવા માટે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા BNSS ની કલમ 94 તથા 106 હેઠળ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસના આધારે બેંકો શંકાસ્પદ રીતે મેળવેલા નાણાં ફ્રીઝ કરે છે.
સાયબર ક્રાઇમની બદલાતી રીતો: શેરબજારની લાલચનો નવો ટ્રેન્ડ
સાયબર ક્રાઈમના બનાવોમાં ATM ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, અને આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને થતા ફ્રોડ જેવા વિવિધ પ્રકારો સતત બનતા રહે છે. જોકે, હવે શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચ આપીને થતી છેતરપિંડીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
પોલીસની અપીલ: સાયબર ક્રાઈમ પોલીસ લોકોને સલામતી માટે અજાણ્યા ફોન નંબર અને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરે છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો, તો તાત્કાલિક 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવો.