ભૂકંપના ભણકારા વચ્ચે ગાંધીધામની જર્જરિત ઇમારતો જોખમી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરોના અનેક વિસ્તારોમાં આવેલી જર્જરિત ઇમારતો ભૂકંપના આંચકાઓના કારણે વધુ જોખમી બની ગઈ છે.

અગાઉ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે જાગૃત નાગરિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુરેશભાઈ ગુપ્તા નામના એક જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ જર્જરિત ઇમારતો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

અગાઉ નગરપાલિકાએ ૧૫થી વધુ જર્જરિત ઇમારતોને ખાલી કરાવીને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી માંડ ત્રણ-ચાર ઇમારતો તૂટી છે અને ત્યાં નવી બાંધકામ પ્રવૃત્તિ શરૂ થઈ છે. પરંતુ અન્ય જોખમી ઇમારતો સામે મહાનગરપાલિકા કે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

તાજેતરમાં ભૂકંપના આંચકાઓની તીવ્રતા અને આવર્તન વધ્યા છે. મંગળવારે રાત્રે અનુભવાયેલા ૫ની તીવ્રતાના આંચકાએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.

આ પરિસ્થિતિમાં જર્જરિત ઇમારતો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સુરેશભાઈ ગુપ્તાએ પોતાના પત્રમાં ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી સહિતની કેટલીક સરકારી ઇમારતો પણ જર્જરિત હાલતમાં હોવાનું જણાવ્યું છે.

તેમણે મહાનગરપાલિકાના વહીવટી તંત્રને તાત્કાલિક જર્જરિત અને ભયજનક ઇમારતો સામે કાર્યવાહી કરવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી છે. ભૂકંપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ મામલે ત્વરિત પગલાં લેવા જરૂરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *