ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે વહેલી સવારે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માતા આશાપુરાના દર્શનાર્થે પહોંચી ગયા હતા. આશરે સવારે 4:30 વાગ્યે તેઓ મંદિરે પહોંચ્યા હતા અને શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કર્યાં હતા.
જાડેજા પોતાના કુળદેવી આશાપુરા માતાજી પ્રત્યે દૃઢ શ્રદ્ધા રાખે છે. દર વર્ષે તેઓ માતાના મઢ ખાતે દર્શન માટે આવે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જયારે તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલનું ખિતાબ જીત્યું હતું ત્યારે પણ તેમણે અહીં આવી માતાજીના ચરણોમાં વંદન કર્યાં હતાં.
આ વર્ષે તેમની ટીમનું પ્રદર્શન સાવ નક્કર નહોતું, તેમ છતાં જાડેજાએ પોતાનું બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું. ક્રિકેટની વ્યસ્તતાની વચ્ચે પણ માતાજી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવતા તેઓ સમય કાઢીને દર્શને આવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાની આ આસ્થા માત્ર વર્તમાન સુધી મર્યાદિત નથી. દોઢ દાયકાથી પણ વધુ સમય પહેલાં તેઓ જામનગરથી માતાના મઢ સુધી પદયાત્રા પણ કરી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે મંદિરમાં હાજરી આપી હતી અને મંગળા આરતીમાં અન્ય ભક્તો સાથે સામાન્ય શ્રદ્ધાળુની જેમ ભાગ લીધો હતો.
મંદિરે તેમનાં આગમન દરમિયાન ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પણ જાડેજાએ ખૂબ જ શાંતિપૂર્વક અને સરળતાથી દર્શન કર્યા હતાં.