ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જિલ્લાની 166 ગ્રામપંચાયતોમાં સામાન્ય અને 241 બેઠકો માટે પેટા ચૂંટણી 22 જૂન 2025ના રોજ યોજાવાની છે. મતદાનની કામગીરીને સુપેરે પાર પાડવા માટે તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને પવનચક્કી અને ઔદ્યોગિક એકમોની નજીક આવેલી ગ્રામપંચાયતોમાં ચૂંટણીને લઈને ગરમાવો વધી રહ્યો છે.
જિલ્લાની કેટલીક પંચાયતોમાં 2022ના ફેબ્રુઆરી, એપ્રિલ અને ડિસેમ્બર મહિનામાં મુદત પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે અમુક જગ્યાએ 3 વર્ષથી તો અમુકમાં અઢી વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. વિકાસના કામો અટક્યા હોવાના કારણે ગ્રામજનોમાં નારાજગી પણ જોવા મળી હતી. હવે સરપંચ પદના રોટેશન બાદ આવી પંચાયતોમાં ચૂંટણી પ્રકિયા જીવંત બની છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ આયોજન અનુસાર, ઉમેદવારી ફોર્મ 2 જૂનથી ભરાશે અને 9 જૂન સુધી રજુ કરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી અને 11 જૂને ફોર્મ પરત ખેંચવાની અંતિમ મિયાદ રહેશે. 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે 25 જૂને પરિણામો જાહેર થશે.
ભૂતકાળમાં ઘણી ગ્રામપંચાયતો ‘સમરસ’ બની જતા ચૂંટણીની જરૂર પડતી ન હતી, પણ હવે ઔદ્યોગિક કે પવનચક્કી જેવી લાક્ષણિકતાઓ ધરાવતી ગામોમાં અસહમતિ વધતાં ચૂંટણી વધુ વિસ્તારોમાં ફરજિયાત બની છે. જેથી આંચકો આપનારા મુકાબલાઓની સંભાવના ઊભી થઈ છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે.
ઉમેદવારોએ આપવાની રહેશે સંપૂર્ણ માહિતી
સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોને પોતાનો ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવાના વિગતો ચૂંટણી અધિકારી સમક્ષ એકરારનામા રૂપે રજૂ કરવી ફરજિયાત રહેશે.
તાલુકાવાર ચૂંટણી વિગત (સામાન્ય + પેટા બેઠકો)
- ભુજ: 32 01 02 38
- મુન્દ્રા: 21 00 05 12
- માંડવી: 15 02 00 42
- અંજાર: 25 00 00 18
- ગાંધીધામ: 00 00 00 01
- ભચાઉ: 09 00 00 23
- રાપર: 29 00 00 20
- નખત્રાણા: 10 00 02 37
- અબડાસા: 05 00 00 40
- લખપત: 06 00 00 10
- કુલ 152 03 09 241
કુલ: 152 ગ્રામપંચાયતોની સામાન્ય અને 241 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. ઉપરાંત, અગાઉ જઉમેદવારી ફોર્મ ભરાયું હતું પણ કોઇ કારણસર ચૂંટણી ન થઈ હોય તેવી બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે.