ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોની આત્માની શાંતિ માટે શહેરના મધ્યમાં ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ કર્મકાંડ વિદ્ મંડળના પ્રમુખ લાલા મહારાજની આગેવાની હેઠળ ભૂદેવોની ટીમે વૈદિક મંત્રોના પાવન ઉચ્ચારણ દ્વારા મૃતકોની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ભગવાન પરશુરામની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કલા વારસો ગ્રુપના કચ્છી પરંપરાગત કલાકારો દાના ભારમલ, લાખા વેરશીં, કમલેશ જોગણીયા, ખેરાજ કાંયા, શંકર બારોટ, શાંતાબેન અને સરીતાબેન બારોટ, નીલેશ જોષી અને રમણીક પરમારે કચ્છી આરાધી વાણીના સુંદર કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા.

આ શોકાંજલિ કાર્યક્રમમાં પ્રકાશાનંદ મહારાજ, સીતારામ બાપુ, સેવક લખવાણી, નીલેશ પંડ્યા, વિજયભાઇ, મીનાક્ષીબેન ભટ્ટ, રાજભા ગઢવી, ભાવેશભાઇ ઠાકર, દીપક આચાર્ય, ધરમશીંભાઇ મસુરીયા, કમલભાઇ શર્મા, હંસરાજ કીરી, અલ્પેશભાઇ રાજગોર, અનિરુદ્ધ હર્ષ, આશીષ જોશી અને સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ મઢવી અને જગદીશ પંડ્યા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ પહેલગામના નિર્દોષ પીડિતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.