ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પાંચ દિવસ વીતી ગયા, છતાં પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કચ્છના લોકોને તેમના સ્વજનોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર કચ્છના મૃતકોના પરિવારજનો ગમગીન સ્થિતિમાં ઊંડા દુઃખ સાથે ઇન્તેજાર કરી રહ્યા છે.
દહીસરા ગામના યુવાનનું દુઃખદ અવસાન
ભુજ તાલુકાના દહીંસરા ગામના અનિલભાઈ ખીમાણીનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના પિતા છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર દેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે હજી સુધી ડેડબોડી પ્રાપ્ત થઇ નથી. દેહ મળ્યા બાદ અંતિમવિધિ વતન દહીસરામાં યોજાશે.
કોડકી ગામના ત્રણ સભ્યોનું એકસાથે અવસાન
કોડકી ગામના રાધાબેન ધનજી હિરાણી, તેમના પુત્ર સુરેશભાઈ અને પૌત્ર અશ્વિનનું પણ દુઃખદ અવસાન થયું છે. અશ્વિન પ્રથમ વખત ભારત આવ્યો હતો અને ગામની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયો હતો. ત્રણેયના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી, અને પરિવારજનો અમદાવાદ સિવિલમાં રાત્રિ-દિવસ રાહ જોઈ રહ્યા છે.
માધાપરના રમેશભાઈ હીરાણીના પરિવારનો ઉઝરતા ઇન્તેજાર
માધાપર ગામના રમેશભાઈ હીરાણીનું પણ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેમના માતા-પિતા અને પત્ની, ગામમાં રહી અમદાવાદ સિવિલમાંથી કોઈ માહિતી મળે તેની આશા રાખી રહ્યા છે. DNA ટેસ્ટની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ ચાર દિવસથી મૃતદેહ મળ્યો નથી.