ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક તેમના વતન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા પણ રદ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયે આ સંદર્ભે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે અને તેમને પોતાના રાજ્યમાં રહેતા પાકિસ્તાનીઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક પાછા મોકલવા માટે નિર્દેશ આપ્યો છે. આતંકવાદને સમર્થન અને આશ્રય આપતા પાકિસ્તાન સામે ભારત સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં 65 વર્ષ જૂનો સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે, જેનાથી પાકિસ્તાનની મોટી વસ્તીને પાણી મળે છે. આ ઉપરાંત, ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનની સંખ્યા પણ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.
ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને તુરંત વતન પરત ફરવા માટે તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં, અટારી-વાઘા બોર્ડરને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના આ આદેશથી દેશભરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સરકારનું આ પગલું પહેલગામના આતંકી હુમલાનો સખત જવાબ માનવામાં આવી રહ્યું છે.