ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરના શેખપીર ત્રણ રસ્તા નજીક આજ સવારે એસટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ધ્રોબાથી કંડલા જતા રૂટની લોકલ એસટી બસ (નંબર GJ 18 Z 4754) માં સવારે લગભગ 10:10 કલાકે વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આગ બસના ડ્રાઇવર કેબિનમાંથી શરૂ થઈ હતી, પરંતુ બસના ચાલક જીજ્ઞેશ જેઠવાની સતર્કતા અને ઝડપી પ્રતિક્રિયા કારણે મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના પરિણામે કોઈ જાનહાનીના સમાચાર નથી.
જ્યાં આ ઘટના બની ત્યાંથી તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં ફાયરફાઇટર અરમાન પટ્ટણી, વિશાલ ગોર અને ટ્રેનિંગ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
એક બાદ એક બનાવોથી ઉકળાટ વચ્ચે ચિંતાની લહેર
આ ઘટનાને કચ્છમાં ભારે ઉકળાટ વચ્ચેનો બીજો બનાવ ગણાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ રાધનપુર હાઇવે પર રાપરના કાનમેર પાટિયા નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી.
આ સતત ઘટનાઓ બસ વ્યવસ્થાપન અને વાહન વ્યવહાર વિભાગ માટે ચિંતા જનક બની છે. તંત્ર દ્વારા એસટી તેમજ ખાનગી વાહનોની રેગ્યુલર ચેકિંગ અને મેન્ટેન્સ માટે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉદભવી છે.